મુંબઈ પોલીસે ખંડણીના કેસમાં 12 ઓક્ટોબરે પરમબીર સિંહને હાજર થવા કહ્યું, હજુ સુધી ગાયબ છે પૂર્વ કમિશ્નર
અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ગોરેગાંવમાં સિંહ વિરુદ્ધ નોંધાયેલા ખંડણીના કેસની તપાસ કરી રહી છે અને તેની પૂછપરછ કરવા માંગે છે.
મુંબઈ પોલીસે શનિવારે ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી પરમબીર સિંહના નિવાસસ્થાનની બહાર એક નોટિસ ચોંટાડી હતી, જેમાં તેમને ખંડણીના કેસમાં 12 ઓક્ટોબરે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. એક અધિકારીએ આ માહિતી આપી.
તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું હતું કે એવા અહેવાલો છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દેશ છોડીને ગયા છે, પરંતુ કોઈ પુષ્ટિ થયેલ માહિતી નથી. સિંહ રાજ્યમાં ઓછામાં ઓછા પાંચ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ગોરેગાંવમાં સિંહ વિરુદ્ધ નોંધાયેલા ખંડણીના કેસની તપાસ કરી રહી છે અને તેની પૂછપરછ કરવા માંગે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ માલાબાર હિલ વિસ્તારમાં નીલિમા ભવન સ્થિત સિંહના ફ્લેટ પર ગઈ હતી અને તેઓ ત્યાં હાજર ન હોવાથી નોટિસ બહાર ચોંટાડી દીધી હતી.
આ પોલીસકર્મીઓ પણ છે આરોપી
બિલ્ડરની સાથે હોટેલનો બિઝનેસ કરતા બિમલ અગ્રવાલની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સિંહ ઉપરાંત બરતરફ કરાયેલા પોલીસ અધિકારીઓ સચિન વાજે, સુમિત સિંહ ઉર્ફે ચિન્ટુ, અલ્પેશ પટેલ, વિનય સિંહ ઉર્ફે બબલુ અને રિયાઝ ભાટીને એફઆઈઆરમાં આરોપી બનાવવામાં આવ્યા છે.
કમિશ્નર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત આવાસ પાસેથી મળી આવેલી એસયુવીના સંબંધમાં સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ પ્રમુખના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને હોમગાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ એસયુવીમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી.
સિંહે પાછળથી આરોપ લગાવ્યો હતો કે રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેશમુખે વાજેને મુંબઈની હોટલ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું. દેશમુખે આ આરોપોને નકાર્યા હતા. આ પછી બોમ્બે હાઈકોર્ટે આ મામલે પીઆઈએલની સુનાવણી કરતી વખતે મોટો નિર્ણય આપ્યો હતો.
હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. એટલું જ નહીં, કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર આ બાબતે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે અને જો તેમની તપાસમાં કોઈ તથ્યો પ્રકાશમાં આવે તો આગળની કાર્યવાહી કરવાનું પણ કહ્યું હતું. હાઈકોર્ટના આ આદેશ બાદ તેમણે રાજ્યના ગૃહમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ.