Mumbai : ‘હું તો અયોધ્યા જઈ રહ્યો હતો, બાબરી તોડી રહ્યો હતો, તમને મરચા લાગે તો હુ શું કરુ ?’, ભાજપની ‘ઉત્તર’ સભામાં CM ઠાકરેને ફડણવીસનો જવાબ
ગઈ કાલે (15 મે, રવિવાર) મુંબઈના (Mumbai) ગોરેગાંવમાં નેસ્કો સેન્ટરમાં ભાજપ (BJP) દ્વારા ઉત્તર ભારતીયો સાથે સંવાદ માટે ખાસ બોલાવવામાં આવેલ 'ઉત્તર' સભામાં, દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઠાકરેને વળતો જવાબ આપ્યો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શનિવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક રેલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર આકરા પ્રહારો કર્યા. દેવેન્દ્ર ફડણવીસે આ રેલી પછી તરત જ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે ‘જવાબ તો મિલેગા ઔર ઠોક કર મિલેગા’. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં ખાસ કરીને ઉત્તર ભારતીયો સાથે સંવાદ માટે મુંબઈના ગોરેગાંવ નેસ્કો સેન્ટર ખાતે ભાજપ દ્વારા હિન્દીભાષી ઉત્તર ભારતીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે (15 મે, રવિવાર) ભાજપની આ ‘ઉત્તર’ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઠાકરેને આડે હાથે લીધા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ગઈકાલે ઉદ્ધવ ઠાકરેની સભા શરૂ થઈ તે પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે માસ્ટર સભા હશે, પરંતુ માસ્ટર સભા લાફ્ટર સભા બની. લાફ્ટર શોમાં કંઈ નવું સાંભળવા મળ્યું નથી. ગઈ કાલે કૌરવોની સભા થઈ હતી, આજે પાંડવોની સભા થઈ રહી છે. જવાબ આપો કે મુંબઈમાં કોવિડમાં ભ્રષ્ટાચાર થયો કે નહીં? દોઢ લાખ લોકોએ જીવ ગુમાવ્યા કે નહીં? પાલઘરમાં સાધુઓની હત્યા થઈ કે નહીં? યશવંત જાધવની સંપત્તિ 35થી વધીને 53 કરોડ થઈ કે નહીં? આ બધા મુદ્દાઓ પર આપણા મુખ્યમંત્રીએ શું કહ્યું? છેલ્લા અઢી વર્ષમાં મુખ્યમંત્રીએ વિકાસ પર, બેરોજગારી પર એક પણ ભાષણ આપ્યું? તેઓ હનુમાન ચાલીસાની માત્ર બે પંક્તિઓ જાણે છે. ‘રામ દુઆરે તુમ રખવારે, હોતા ના આજ્ઞા બિન પૈસા રે’
હું તો અયોધ્યા જઈ રહ્યો હતો, બાબરી પડી રહી હતી, તમને મરચા લાગ્યા તો હું શું કરું?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હા હું અયોધ્યા જઈ રહ્યો હતો, બાબરી પડી રહી હતી, તમને મરચા લાગ્યા તો હું શું કરું ? જ્યારે અમે બાબરી તોડવા ગયા ત્યારે અમે રાહ જોતા રહ્યા કે શિવસેનામાંથી કોઈ આવશે, કોઈ પહોંચ્યા નહીં. અમે નારા લગાવી રહ્યા હતા કે અમે લાકડીઓ અને ગોળીઓ ખાઈશું, મંદીર ત્યાં જ બનાવીશું. હું કારસેવકોની મજાક ઉડાવનારાઓને કહેવા માંગુ છું કે જ્યારે પણ દેશને જરૂર પડશે, તો અમે પાછા જઈશું.
ફડણવીસે કહ્યું કે ગઈકાલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મારા પર ટિપ્પણી કરી હતી કે જો મેં બાબરી મસ્જિદ પર ચઢવાનો પ્રયાસ કર્યો હોત તો મસ્જિદ મારા વજનથી જ પડી ગઈ હોત. મારા ઉપર આટલો વિશ્વાસ તમને? મારું વજન આજે એકસો બે કિલો છે. તે સમયે એકસો અઠ્ઠાવીસ કિલો હતું. તમે મારી પીઠ પર ખંજર મારીને મારું રાજકીય વજન તો ઓછું કર્યું. પણ ધ્યાનથી સાંભળો, આ જ દેવેન્દ્ર ફડણવીસ તમારી સત્તાના બાબરી ઢાંચાને તોડી પાડ્યા વિના શાંતિથી બેસશે નહીં. તેમ છતાં હું કહું છું કે, વજનદાર લોકોથી સંભાળીને રહેવું, જેટલું ઉપરથી દેખાય છે એટલું જ નીચે પણ વજન છે.