હિંસાના વિરોધમાં હિંસા ! અમરાવતીમાં આજે પણ કર્ફ્યુ લાગુ, ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી
પોલીસે જણાવ્યું કે, પરિસ્થિતિને જોતા આગામી 4 દિવસ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે અને હાલ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
Maharashtra : હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રમાં હિંસા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના 5 જિલ્લામાં પરિસ્થિતિ બેકાબુ બની હતી. જો કે શુક્રવાર સાંજ સુધીમાં નાંદેડ, માલેગાંવ, વાશિમ અને યવતમાલમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ શનિવારે સવારે અમરાવતીમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 4 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે. હાલ જિલ્લામાં ત્રણ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ (Internet Service) પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વિફરેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો
શનિવારે સવારે અમરાવતીના રાજકમલ ચોક અને ગાંધી ચોકમાં (Gandhi Chowk) હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં વિફરેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે જણાવ્યું કે ત્રિપુરામાં (Tripura) સાંપ્રદાયિક હિંસાના વિરોધમાં અમરાવતી શહેરમાં મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર આરતી સિંહે જણાવ્યું હતું કે અફવાઓને રોકવા માટે શહેરમાં ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. તેમજ અગાઉ લાદવામાં આવેલ કર્ફ્યુ ચાર દિવસ સુધી ચાલુ રહેશે.
લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
પૂર્વ મહારાષ્ટ્રમાં અમરાવતીના (Amaravati) રાજકમલ ચોક વિસ્તારમાં શનિવારે સવારે નારા લગાવતા સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, વિફરેલ ટોળાએ રાજકમલ ચોક વિસ્તાર અને અન્ય કેટલાક સ્થળોએ પથ્થરમારો કર્યો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતુ. જેને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યકારી પોલીસ કમિશનર સંદીપ પાટીલે CrPCની કલમ 144 (1), (2), (3) હેઠળ અમરાવતી શહેર વિસ્તારમાં કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. મેડિકલ ઈમરજન્સી (Medical Emergency) સિવાય લોકોને તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. તેમજ આદેશ મુજબ પાંચથી વધુ લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.