Maharashtra: ઓમિક્રોનના ડરના પગલે અકોલામાં કલમ 144 લાગુ, રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 5 કેસ નોંધાયા છે.આવી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ સાવચેતીઓ શરૂ કરવામાં આવી છે. આ સાવચેતીઓ સંબંધિત પગલાં હેઠળ, મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ભારત (India) માં કર્ણાટક,ગુજરાત,મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને (New Variant Omicron) પોતાના પગ ફેલાવી દીધા છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનના પાંચ કેસની પુષ્ટિ થઈ છે. શનિવારે મુંબઈ નજીક ડોમ્બિવલીના 33 વર્ષીય યુવક ઓમિક્રોન સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો. જે બાદ મહારાષ્ટ્રનું વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે. ઓમિક્રોનના ડરના પગલે અકોલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
મહત્વનું છે કે ડોમ્બિવલીના 33 વર્ષીય યુવક કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો અને પછી દિલ્હી (Delhi) થી મુંબઈ આવ્યો હતો. 23 નવેમ્બરે મુંબઈ(Mumbai) આવ્યા બાદ તે ડોમ્બિવલી સ્થિત પોતાના ઘરે ગયો હતો. તેનો ઓમિક્રોન માટેનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સંબંધિત દર્દીઓમાં હળવા લક્ષણોને કારણે લોકોને બિનજરૂરી રીતે ન ગભરાવાની સલાહ આપી, સાથે જ તેમણે કોરોના નિયમોનું સાવચેતી સાથે પાલન કરવાની અપીલ કરી છે.
અકોલામાં કલમ 144 લાગુ
ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા જ મહારાષ્ટ્રમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ સાવચેતી અને તકેદારી શરૂ કરવામાં આવી છે. આ સાવચેતીઓ સંબંધિત પગલાં હેઠળ, અકોલા જિલ્લા મેજિસ્ટ્રેટ નીમા અરોરાએ જિલ્લામાં 144 લાગુ કરી છે. આ આદેશ 5 ડિસેમ્બરની મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે 4 ડિસેમ્બરે પોતાનો આદેશ જાહેર કર્યો હતો.
રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ
અકોલા જિલ્લામાં 5 ડિસેમ્બરની મધ્યરાત્રિથી આગામી આદેશ સુધી કોઈ રેલી, ધરણા, આંદોલન, મોરચા વગેરેનું આયોજન કરવામાં આવશે નહીં. જો કે આ સમયગાળા દરમિયાન જિલ્લામાં એન્ટી-કોરોનાવાયરસ રસીકરણની કામગીરી નિયમિતપણે ચાલુ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં કલમ 144ના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે.
રસી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ શ્રેષ્ઠ ઉપાય
ઓમિક્રોન વિશે આટલું સાવધ રહેવાનું કારણ એ છે કે કોરોનાનું આ નવું વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પાંચથી સાત ગણી ઝડપથી ફેલાય છે. તેથી જ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય નિષ્ણાત ડૉ. સૌમ્યા સ્વામીનાથનનું માનવું છે કે ટૂંક સમયમાં તે વિશ્વભરમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેશે. જો કે એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ રસી લીધેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.
પરંતુ આ હોવા છતાં, રસીકરણ તેની સામે સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. ઓછામાં ઓછું તે સંપૂર્ણ રસીકરણ ધરાવતા લોકો પર જીવલેણ અસર કરવા સક્ષમ નથી. એક મહત્વની માહિતી એ પણ સામે આવી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળી આવેલા ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિઓએ રસી લીધી ન હતી.
આ પણ વાંચોઃ સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !
આ પણ વાંચોઃ Crime : 1100 કરોડ જેવી અધધધ રકમ ચીન મોકલવા માત્ર 9 લાખમાં વેંચાયો CA, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ