Maharashtra: પૂર્વ મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરુદ્ધ નોંધાયો ખંડણીનો કેસ, 6 પોલીસકર્મીઓ સહિત 7 અન્ય સામે FIR
2015થી 2018 સુધી બદલી થઈ ગઈ હોવા છતાં પરમબીર સિંહે તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવાના બદલે તેનો ઉપયોગ કર્યો હતો.
મુંબઈ પોલીસે(Mumbai Police) પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ(ParamBir Singh) વિરુદ્ધ ખંડણીનો કેસ નોંધ્યો છે. તે સિવાય પોલીસે અન્ય 7 લોકો વિરુદ્ધ પણ FIR નોંધી છે. જેમાં 2 સિવિલિયન અને 6 પોલીસકર્મીનો સમાવેશ થાય છે. આ પોલીસકર્મીઓમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અકબર પઠાણના નામનો પણ ઉલ્લેખ છે. પોલીસે મુંબઈના મરીન ડ્રાઈવ સ્ટેશનમાં FIR નોંધી છે અને પોલીસે બે નાગરિકોની ધરપકડ કરી છે, જેનું નામ સુનીલ જૈન અને પુનમિયા જણાવવામાં આવ્યું છે.
પરમબીરસિંહને સરકારી આવાસનો ઉપયોગ કરવા બદલ 24 લાખનો દંડ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2015થી 2018 સુધી બદલી થઈ ગઈ હોવા છતાં પરમબીર સિંહે તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવાના બદલે તેનો ઉપયોગ કર્યો હતો. આ બદલ તેમને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પરમબીર જ્યારે થાણેના પોલીસ કમિશનર હતા, ત્યારે બે સરકારી નિવાસોનો ઉપયોગ કરતા હતા.
પરમબીર સિંહને 2018 સુધી 54,10,545 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાંથી તેણે 29 લાખ 43 હજાર ચૂકવ્યા છે, પરંતુ હજી 24 લાખ 66 હજાર ચૂકવવાના બાકી છે. પરમબીરસિંહ તે સમયે મલાબાર હિલના નીલિમા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર 24 લાખ રૂપિયાનો આ દંડ તેના પગારમાંથી અથવા નિવૃત્તિ પછી મળેલા નાણામાંથી વસૂલ કરી શકાય છે. પરમબીર હાલમાં હોમગાર્ડ ડીજી(DG) છે.
પરમબીરસિંહે તત્કાલીન ગૃહ પ્રધાન(Home Minister )અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ
ઉલ્લેખનીય છે કે પરમબીરસિંહે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહપ્રધાન અને NCPના કદાવર નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. આ આક્ષેપો બાદ વિવાદ વકર્યો હતો. જેના થોડા દિવસો પછી અનિલ દેશમુખને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
પરમબીરસિંહે કોર્ટમાં અરજી કરી હતી કે અનિલ દેશમુખ વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ તેમને અનેક તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે તેમણે આ કેસોને મહારાષ્ટ્રની બહાર ટ્રાન્સફર કરવાની અને સીબીઆઈ(CBI) જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ પણ કરી હતી.