Maharashtra: શિંદે જૂથને રાજ ઠાકરેએ આપી મનસેમાં વિલયની ઓફર, ઉદ્ધવ ઠાકરેના આ અંગે તીખા પ્રહાર
શિંદેના જૂથ અંગે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું હતું કે તેમણે તેમના જૂથને કોઈને કોઈ પક્ષમાં વિલીન કરવું પડશે. તેમની પાસે આ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. તેઓ કઈ પાર્ટીમાં જશે? ગઈકાલે તેમને એક પાર્ટી દ્વારા ઓફર કરવામાં આવી છે.
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રવિવારે સાંજે મુંબઈના કાલાચોકી વિસ્તારમાં શિવસેનાની (Shiv Sena) એક શાખાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે શિંદે જૂથ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે રાજ ઠાકરેનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ ઠાકરેએ શનિવારે એક મરાઠી ન્યૂઝ ચેનલ ઝી 24 તાસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો શિંદે જૂથ સાથે એવી નોબત આવે કે, શિવસેના પર તેમનો દાવો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ શિંદે અને તેમના સમર્થકોને તેમની પાર્ટીમાં વિલીનીકરણનો પ્રસ્તાવ સ્વીકારી શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘બંડખોરો (શિવસેનાના નેતાઓ કે જેઓ બળવો કરીને શિંદે જૂથમાં જોડાયા હતા) પાસે એક જ ઉપાય બચ્યો છે. કાયદો કહે છે કે તેઓએ તેમના જૂથને કોઈક પક્ષ સાથે વિલય કરવો પડશે. તેઓ કઈ પાર્ટીમાં જશે? ગઈકાલે તેમને એક પાર્ટી દ્વારા ઓફર કરવામાં આવી હતી (રાજ ઠાકરેનું નામ લીધુ ન હતુ)”. આટલું કહીને ઉદ્ધવ ઠાકરે હસવા લાગ્યા. ત્યારે સામે હાજર શિવસૈનિકોના ટોળાએ કેમિકલ લોચા… કેમિકલ લોચા…નો અવાજ ઉઠાવ્યો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ પણ તેમની સાથે સુર પુરાવતા કહ્યું કે, ‘કેટલા લોકોને કેમિકલ લોચો થયો છે તે કહેવું મુશ્કેલ છે.’
આ રાજ ઠાકરે સાથે સંબંધિત કેમિકલ લોચાની વાર્તા છે
ઠાકરે સરકારના છેલ્લા તબક્કામાં રાજ ઠાકરેએ હિન્દુત્વની ભૂમિકા અપનાવી હતી. બાળાસાહેબ ઠાકરેની જેમ તેઓ હાથમાં આરતીની થાળી સાથે કેસરી શાલ પહેરેલા જોવા મળ્યા હતા. આવા ઘણા ફોટા હતા જેમાં રાજ ઠાકરે બાળાસાહેબ ઠાકરેની રીતભાત અપનાવતા જોવા મળ્યા હતા. મુંબઈના બીકેસી ગ્રાઉન્ડની સભામાં આ અંગે ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ની વાર્તાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે રીતે ગાંધી દિવસ-રાત મુન્નાભાઈના મન પર પ્રભુત્વ જમાવતા હતા. એ જ રીતે કેટલાક લોકોને મુન્નાભાઈની જેમ કેમિકલ લોચો થયો જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે બાળાસાહેબ ઠાકરે તેમનામાં સમાઈ ગયા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આવા લોકોને લાગે છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેની જેમ શાલ પહેરીને બાળાસાહેબ ઠાકરે બની જશે. આ મામલે રાજકારણના આ મુન્નાભાઈ ક્યારેક મરાઠીનો મુદ્દો ઉઠાવે છે તો ક્યારેક હિન્દુત્વનો મુદ્દો ઉઠાવે છે. ફરી એકવાર રાજ ઠાકરેની શિંદે જૂથને તેમની પાર્ટીમાં વિલીનીકરણની ઓફર બાદ ઉદ્ધવ ઠાકરેએ કેમિકલ લોચાની યાદ અપાવી છે. એટલે કે તેઓ રાજ ઠાકરેને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો તેઓ પોતાની MNS પાર્ટીમાં શિવસેનાના બળવાખોરોને સામેલ કરશે તો MNS શિવસેના નહીં બની જાય.