PFIના વિરોધ પ્રદર્શનમાં લાગ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા, CM શિંદેએ કહ્યું- આ સહન નહીં થાય
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) કહ્યું હતું કે રાજ્યમાં આવા સૂત્રોચ્ચાર સહન કરવામાં આવશે નહીં, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં.
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા . નારા લગાવનાર પ્રદર્શનકારીઓનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે નારા લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) કહ્યું હતું કે રાજ્યમાં આવા નારા સહન કરવામાં આવશે નહીં, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. સામે આવેલા વીડિયો મુજબ અટકાયતમાં લેવાયેલા પીએફઆઈ કાર્યકરોને પોલીસ વાહનમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા ઘણી વખત લગાવવામાં આવ્યા હતા.
પુણેમાં ડીએમ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન
આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ આવા નારા લગાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પુણે પોલીસે કહ્યું છે કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે. પીએફઆઈના પરિસર પર રાષ્ટ્રવ્યાપી દરોડાઓના વિરોધમાં સંગઠને શુક્રવારે પુણે શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
આ દરમિયાન પોલીસે લગભગ 40 જેટલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ દ્વારા વાહનમાં બેઠેલી વખતે પ્રદર્શનકારીઓએ કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું કે તે આ મામલે તપાસ કરી રહી છે.
પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર પાટીલે કહ્યું હતું કે, “અમે પહેલાથી જ પીએફઆઈ સભ્યો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રદર્શન કરવા બદલ કેસ નોંધ્યો છે અને અમે નારા લગાવનાર લોકોની તપાસ કરી રહ્યા છીએ.” આ દરમિયાન ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ટ્વિટર પર કહ્યું કે જે લોકોએ પાકિસ્તાન તરફી નારા લગાવ્યા છે તેઓએ યાદ રાખવું જોઈએ કે તેમને બક્ષવામાં આવશે નહીં.
રાણેએ કહ્યું, “પુણેમાં પીએફઆઈના સમર્થનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા તમામ લોકોને પકડી પકડીને મારવામાં આવશે… તે યાદ રાખો. પીએફઆઈને પ્રતિબંધિત કરો. બીજેપીના અન્ય ધારાસભ્ય રામ સતપુતેએ પણ નારા લગાવનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.