કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને જાહેર કરવામાં આવી ગાઈડલાઈન
મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન (Oxygen Manufacturing Company) કરતી તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 95 ટકા સ્ટોક જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી ઓક્સિજન સ્ટોક રાખવા સંબંધિત નિયમો અને શરતોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
Corona : કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે તેમજ ઓક્સિજનની અછતના સંકટને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી છે.રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજનને લઈને નવી ગાઈડલાઈન (Oxygen Guideline) જાહેર કરવામાં આવી છે. જેમાં ઓક્સિજન ઉત્પાદકોને 95 ટકા ઓક્સિજનનો સ્ટોક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઓક્સિજનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, રાજ્યમાં એલએમઓનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં 95 ટકા ઓક્સિજન સ્ટોક (Oxygen Stock) રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત દરેક પ્લાન્ટે ખાતરી કરવાની રહેશે કે તેના ઉત્પાદન કેન્દ્રમાં ઓક્સિજન સંપૂર્ણ ક્ષમતાથી ઉત્પન્ન થઈ રહ્યું છે.
જાહેર આરોગ્ય વિભાગ અને મેડિકલ એજ્યુકેશન તેમજ ડ્રગ્સ વિભાગને આપી મહત્વની સૂચના
રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ એલએમઓ ઉત્પાદકો (Oxygen Manufacturing Company) તેમના સંબંધિત જિલ્લામાં ઓક્સિજનનો સ્ટોક જમા કરે. તમને જણાવી દઈએ કે, જાહેર આરોગ્ય વિભાગ અને મેડિકલ એજ્યુકેશન તેમજ ડ્રગ્સ વિભાગને ઓક્સિજનની વધુ માંગના કિસ્સામાં નોન-મેડીકલ ઓક્સિજનનો પણ ઉપયોગ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારી પૂરજોશમાં
મહારાષ્ટ્રમાં કોવિડ -19 ની બીજી લહેર એપ્રિલથી -જૂન મહિનામાં જોવા મળી હતી. આ દરમિયાન સાત લાખ કેસોમાં 1850 મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ થયો હતો. કોવિડની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન, એવું જોવામાં આવ્યું હતું કે ઘણા ઉત્પાદકો પાસે ઓક્સિજનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી અને તેઓ માંગ મુજબ સપ્લાય કરી શકતા નહોતા. આ અનુભવને ધ્યાનમાં રાખીને, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જિલ્લા કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ કામ કરવામાં આવશે
રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાનમાં રાખીને, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના (Food and Drug Administration Department) કમિશનર દ્વારા રાજ્ય કક્ષાએ આ કામગીરી પર નજર રાખવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ કામ કરવામાં આવશે અને નગરપાલિકા સ્તરે આ કામ મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) દ્વારા આ કામગિરી હાથ ધરવામાં આવશે.જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો આ અધિકારીઓને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે.
આ પણ વાંચો: Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા