ઓમિક્રોનની આફત : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુસ્ટર ડોઝ મામલે કેન્દ્ર સરકારને કરી આ અપીલ
અજીત પવારે કહ્યુ કે, વિવિધ રાજ્યોમાંથી આવતા સંક્રમિત લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કડક નિર્ણયો લેવા જોઈએ. જ્યાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં નિયમો અને નિયંત્રણો કડક કરવાની જરૂર છે.
Maharashtra : કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યા બાદ સમગ્ર વિશ્વમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron Variant) કહેર વર્તાવ્યો છે. કોરોનાનુ સંક્રમણ ઓછુ થતા મુંબઈ, પુણે સહિત મહારાષ્ટ્રમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે (Corona Variant) ચિંતા વધારી છે. રાજ્યમાં ફરી એકવાર નવા નિયંત્રણો લાદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બૂસ્ટર ડોઝ અંગે વહેલી તકે નિર્ણય લેવા કેન્દ્રને કરી અપીલ
અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત 21 અને રાજ્યમાં 8 દર્દીઓ મળી આવ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ રસીના બૂસ્ટર ડોઝ (Booster Dose) અંગે વહેલી તકે નિર્ણય લેવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
આ સિવાય તેમણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ફ્લાઈટ્સ પર કડક નિયંત્રણો લાદવાની પણ અપીલ કરી છે. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યુ છે. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અજિત પવારે મુંબઈના દાદરમાં ચૈત્યભૂમિની મુલાકાત લઈને ભારત રત્નને શ્રદ્ધાંજલિ આપી હતી અને તે દરમિયાન કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.
શું બૂસ્ટર ડોઝની જરૂર છે ?
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘જેમણે રસીના બંને ડોઝ લીધા હતા તેઓને પણ ચેપ લાગ્યો છે. તો શું બૂસ્ટર ડોઝની જરૂર છે ? આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરે આ અંગે નિર્ણય લેવો જરૂરી છે. બૂસ્ટર ડોઝ આપવો કે નહીં ? તે અંગે જુદા જુદા આરોગ્ય નિષ્ણાતોના અલગ- અલગ મંતવ્યો રજુ કરી રહ્યા છે. પરંતુ સરકારે (Central Government) આ મામલે જવાબ આપવાની જરૂર છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નિયમોનું ચુસ્તપણે પાલન કરો
તેમણે વધુમાં કહ્યું કે, ‘વિવિધ રાજ્યોમાંથી આવતા સંક્રમિત લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કડક નિર્ણયો લેવા જોઈએ. નિયમોનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે કે નહીં, તે સંપૂર્ણ રીતે જોવું જોઈએ. જ્યાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં નિયમો અને નિયંત્રણો કડક કરવાની જરૂર છે. અમે કેન્દ્ર સરકાર પાસે માગ કરીએ છીએ કે તેઓ આ અંગે કડક વલણ અપનાવે.
ઓમિક્રોનના જોખમને પગલે સતર્કતા જરૂરી
આ દરમિયાન તેમણે રાજકીય પરિવારોમાં થતા લગ્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અજિત પવારે (Dy. CM Ajit Pawar) કહ્યું કે, ‘થોડા દિવસો સુધી ઘણા રાજકીય પરિવારોમાં લગ્નો થયા. લોકોની ભારે ભીડ જામી હતી. એ યાદ રાખવું જોઈએ કે અત્યાર સુધી અમે પાંચથી છ ફૂટના સામાજિક અંતરને અનુસરતા હતા. છેલ્લી વખત માસ્કનો ઉપયોગ છોડી દેવાથી ચેપ વધ્યો હતો તેના પરથી બોધપાઠ લેવો જોઈએ. જેથી લોકોએ ઓમિક્રોનના જોખમને પગલે સતર્કતા રાખવી જરૂરી છે.
આ પણ વાંચો : મુંબઈગરાઓ ચેતી જજો : “નો વેક્સિન, નો એન્ટ્રી”, ઓમિક્રોનના જોખમને પગલે મુંબઈમાં કડક નિયમો લાગુ
આ પણ વાંચો : Maharashtra : પરમબીર સિંહ મામલે રાજ્ય સરકારનું આકરુ વલણ, સરકારે સુપ્રીમ કોર્ટને કરી આ વિનંતી