ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર કટાક્ષ, કહ્યું- કાશ્મીરી પંડિતોને પુનર્વસનનુ સ્વપ્ન બતાવ્યુ હતું, હવે હત્યાઓ થઈ રહી છે
ભાજપ પર કટાક્ષ કરતા મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ કહ્યું કે કાશ્મીરી પંડિતોને ઘર વાપસી (ખીણમાં પુનર્વસન)નું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ તેમને નિશાન બનાવીને મારી નાખવામાં આવી રહ્યા છે. પંડિતોની હિજરત આઘાતજનક છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શનિવારે કાશ્મીર ખીણમાં “હિંદુઓ અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી હત્યાની બની રહેલી વારંવારની ઘટનાઓ” પર ચિંતા વ્યક્ત કરી હતી. શિવસેના પ્રમુખ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું કે કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) ખીણમાંથી ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતોને ‘ઘર વાપસી’ (ખીણમાં પુનર્વસન)નું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ તેમને નિશાન બનાવીને મારી નાખવામાં આવી રહ્યા છે. પંડિતોની હિજરત (Migration of Pandits) એ આઘાતજનક ઘટના છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કાશ્મીરી પંડિત સમુદાયને ખાતરી આપી હતી કે, મહારાષ્ટ્ર તેમની સાથે મક્કમપણે ઊભું છે. તેમણે કહ્યું કે 1995માં જ્યારે શિવસેના-ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યું ત્યારે શિવસેનાના (Shiv Sena) સંસ્થાપક બાળ ઠાકરેએ (Bal Thackeray) રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં કાશ્મીરી પંડિતોના બાળકો માટે આરક્ષણ સુનિશ્ચિત કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કાશ્મીરી પંડિત નેતાઓના સંપર્કમાં છે અને તેમની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.
મહારાષ્ટ્ર કાશ્મીરી પંડિતોની સાથે ઊભું રહેશે
વાસ્તવમાં, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કાશ્મીરી પંડિતો પરના હુમલા પર ચિંતા વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે કાશ્મીરી પંડિતો માટે જે પણ શક્ય હશે તે કરીશું, અમે તેમને અવઢવમાં છોડીશું નહીં. તેમણે કહ્યું કે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે હું માત્ર એટલું જ વચન આપી શકું છું કે મહારાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં કાશ્મીરી પંડિતોની સાથે મજબૂતીથી ઊભું રહેશે.
ભાજપ પર વાકપ્રહાર
ભૂતપૂર્વ સાથી ભાજપ પર કટાક્ષ કરતા, સીએમ ઠાકરેએ કહ્યું કે કાશ્મીરી પંડિતોને ઘર વાપસી (ખીણમાં પુનર્વસન)નું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ તેમને નિશાન બનાવીને મારી નાખવામાં આવી રહ્યા છે. પંડિતોની હિજરત આઘાતજનક છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર હુમલામાં વધારો થયો છે. ત્રણ મહિનામાં આતંકવાદીઓ દ્વારા 13 લોકો માર્યા ગયા છે. કાશ્મીરી પંડિત સમુદાયના કેટલાક સભ્યો તેમના પરિવારો સાથે ખીણ છોડી રહ્યા હોવાના અહેવાલ છે.
કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી
શુક્રવારે કેન્દ્ર સરકારે આ અંગે સુરક્ષા સાથે જોડાયેલ વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, જમ્મુ-કાશ્મીર પોલીસ વડા દિલબાગ સિંહ પણ હાજર રહ્યાં હતા. આ દરમિયાન 30 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા અંગે પણ ચર્ચા થઈ હતી.