Maharashtra Reopening Theatres: મહારાષ્ટ્રમાં શાળાઓ અને મંદીરો બાદ હવે લેવાયો થિયેટર્સ ખોલવાનો નિર્ણય, જાણો ક્યારથી ખુલશે થિયેેટર્સ
શાળાઓ અને મંદિરો ખોલવાની જાહેરાત બાદ હવે ઠાકરે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ટુંક સમયમાં રાજ્યભરમાં થિયેટરો પણ ખુલશે.
શાળાઓ અને મંદિરો સહિત તમામ પ્રાર્થના સ્થળો ખોલવાના નિર્ણય બાદ હવે મહારાષ્ટ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના સિનેમાઘરો અને થિયેટરો 22 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) વર્ષા બંગલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના નિયમોને પગલે ઠાકરે સરકારે સમગ્ર મહારાષ્ટ્રમાં થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપી છે.
આજે (શનિવાર, 25 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સિનેમા અને નાટકો સાથે સંકળાયેલા કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ, મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલના માલિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ પછી મુખ્યમંત્રીએ સિનેમા હોલ અને થિયેટરો શરૂ કરવાનું નક્કી કર્યું. આ નિર્ણય અંતર્ગત 22 ઓક્ટોબરથી રાજ્યના તમામ થિયેટરો, નાટ્યગૃહો ખુલશે. કોરોના મહામારીને કારણે રાજ્યમાં થિયેટરો લગભગ દોઢ વર્ષથી બંધ હતા.
ફિલ્મ ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો મહત્વનો નિર્ણય
દેશના ઘણા રાજ્યોમાં થિયેટરો શરૂ થઈ ગયા છે. દિલ્હી, લખનઉ જેવા શહેરોમાં સિનેમા હોલ શરૂ થયા છે. આને કારણે, મહારાષ્ટ્રના સિનેમા હોલ માલિકો દ્વારા ઘણા દિવસોથી માંગ કરવામાં આવી હતી કે કોરોના સંક્રમણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને થિયેટરો શરૂ કરવા દેવા જોઈએ.
બોલીવુડની શ્રેષ્ઠ કમાણી મુંબઈ શહેરમાંથી જ થાય છે. એટલે કે થિયેટરો બંધ હોવાને કારણે ફિલ્મ ઉદ્યોગને કમાણીનો મોટો હિસ્સો ગુમાવવો પડતો હતો. તેથી, અર્થતંત્રને વેગ આપવા માટે, રાજ્ય સરકારે 22 ઓક્ટોબરથી તમામ થિયેટરો, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ ખોલવાનો નિર્ણય કર્યો છે.
સિનેમા હોલ અને થિયેટરો બંધ થવાના કારણે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો, કર્મચારીઓ અને ઉદ્યોગસાહસિકોની હાલત કફોડી બની રહી હતી. ખાસ કરીને સ્ટેજની પાછળ કામ કરતા નાના -નાના કર્મચારીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમના માટે એક એક દિવસ વિતાવવો મુશ્કેલ બની રહ્યો હતો.
રાજ્ય સરકારે શૂટિંગ માટે પરવાનગી આપી હતી, પરંતુ થિયેટરો બંધ હોવાના કારણે સવાલો ઉભા થઈ રહ્યા હતા કે જ્યારે ફિલ્મો થિયેટરોમાં લાગવાની જ નથી ત્યારે શૂટિંગ ચાલુ રાખવાનો શું ફાયદો ? હવે આ સમસ્યા દૂર થશે. સમગ્ર ફિલ્મ ઉદ્યોગે આ નિર્ણયને આવકાર્યો છે અને ખુશી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, પુરુ મહારાષ્ટ્ર કોરોના મહામારીના ભરડામાં આવી ચુક્યું હતું. બીજી લહેર ખુબ જ પ્રભાવક બની રહી હતી. આથી પરીસ્થીતીને નિયંત્રીત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેને લઈને મંદીરો, લોકલ ટ્રેન, શાળાઓ બધુ જ બંધ હતું. હવે જ્યારે બીજી લહેર ઓસરી રહી છે ત્યારે સરકાર દ્વારા ટાસ્કફોર્સ સાથે મંત્રણા કરીને એક પછી એક પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. અને ધીમે ધીમે જાહેર સ્થળો ખોલવામાં આવી રહ્યા છે.