Maharashtra: રાણા દંપતિની મુશ્કેલીમાં વધારો, ખાર સ્થિત ઘર પર ગેરકાયદે બાંધકામને લઈને બીએમસીએ વધુ એક નોટીસ મોકલી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) શનિવારે અમરાવતીના સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઈના ખાર વિસ્તાર સ્થિત તેમના ઘરમાં ગેરકાયદેસર બાંધકામના સંબંધમાં વધુ એક નોટિસ જાહેર કરી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે અમરાવતીના સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઈના ખાર વિસ્તારમાં તેમના ઘરમાં ગેરકાયદેસર બાંધકામના સંબંધમાં વધુ એક નોટિસ જાહેર કરી છે. બીએમસી દ્વારા રાણા દંપતીને મોકલવામાં આવેલી આ બીજી નોટિસ છે. આ મહિનાની શરૂઆતમાં, મ્યુનિસિપલ અધિકારીઓની એક ટીમ તેમના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ અંગે તેમના ખારના નિવાસસ્થાને પહોંચી હતી. બીએમસી નોટિસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1888ની કલમ 488 હેઠળ જાહેર કરવામાં આવી હતી.
જે મુજબ અધિકારીઓ કોઈપણ ઈમારતની મુલાકાત લઈને કોઈ ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ તે જાણી શકશે. આ સાથે બીએમસીએ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાને 7 દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. જો તેઓ યોગ્ય કારણો આપવામાં અસમર્થ હોય, તો બીએમસી તેમની મરજી વિરુદ્ધ તેમનું બાંધકામ તોડીને કાયદાની કલમ 475A હેઠળ તેમની સામે કાર્યવાહી કરશે.
અધિકારીઓને રાણા દંપતીનો ફ્લેટ બંધ મળ્યો હતો
ટાઇમ્સ નાઉના અહેવાલો અનુસાર, 18 મેના રોજ, બીએમસીની એક ટીમ ખાર ઉપનગરમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણાના એપાર્ટમેન્ટનું નિરીક્ષણ કરવા પહોચી હતી, પરંતુ ફ્લેટ બંધ જોવા મળ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, લવી ભવનના 8મા માળે ગેરકાયદે બાંધકામની ફરિયાદ મળી હતી, જ્યાં રાણા પરિવારનું એક એપાર્ટમેન્ટ છે. તેમણે કહ્યું કે સાતથી આઠ અધિકારીઓની ટીમે બપોરે 12.30 વાગ્યાની આસપાસ બિલ્ડિંગની મુલાકાત લીધી, પરંતુ રાણાનું એપાર્ટમેન્ટ બંધ હતું, જેથી ટીમ તપાસ કર્યા વિના જ પરત ફરી હતી.
બીએમસીએ ગમે ત્યારે પરિસરમાં નિરીક્ષણની નોટીસ આપી હતી
તમને જણાવી દઈએ કે, નોટિસ મુજબ, નિયુક્ત અધિકારીએ કહ્યું હતું કે તેઓ 4 મેના રોજ કોઈપણ સમયે નિરીક્ષણ, ફોટોગ્રાફ્સ અને માપ લેવા માટે પરિસરમાં પ્રવેશ કરશે. હનુમાન ચાલીસાના પાઠ પર થયેલા વિવાદ બાદ ધરપકડ કરાયેલ દંપતી હાલમાં જામીન પર બહાર છે. બાંદ્રા વિસ્તારમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ 23 એપ્રિલે મુંબઈ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમની સામે દેશદ્રોહ અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સહિત IPCની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.