Maharashtra Bandh: મુંબઈ-પૂણે-થાણે-નાગપુરના વેપારીઓએ કર્યો ‘મહારાષ્ટ્ર બંધ’નો વિરોધ, શાકભાજીની સપ્લાયને થશે અસર
લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં મહા વિકાસ આઘાડીએ સોમવારે (11 ઓક્ટોબર) મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. નવી મુંબઈનું APMC માર્કેટ સોમવારે બંધ રહેશે. આથી શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થશે એ નક્કી છે.
યુપીના લખીમપુર ખીરી હિંસાના (Lakhimpur Khiri Violence, UP) વિરોધમાં મહા વિકાસ આઘાડીએ (Maha Vikas Aghadi) સોમવારે (11 ઓક્ટોબર) મહારાષ્ટ્ર બંધનું (Maharashtra Bandh) એલાન આપ્યું છે. પૂણે બાદ મુંબઈ-થાણેના વેપારીઓએ પણ આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે.
વેપારીઓએ નક્કી કર્યું છે કે તેઓ સોમવારે દુકાનો ખુલ્લી રાખશે. વિરેન શાહે મુંબઈ વેપારી એસોસિએશન વતી કહ્યું છે કે ‘તેઓ ખેડૂતોની દુર્દશા અને પીડાને સમજે છે, તેમને ટેકો આપે છે, તેમની સાથે સહાનુભૂતિ રાખે છે. પરંતુ વેપારીઓને આ બંધમાં ખેંચવા જોઈએ નહીં.
મુંબઈ, પૂણે અને થાણે બાદ નાગપુર અને ઔરંગાબાદના વેપારી સંગઠનોએ પણ દુકાનો ખોલવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેની પાર્ટી મનસેની સિને વિંગના પ્રમુખ અમેય ખોપકરે પણ બંધનો વિરોધ કરતા કહ્યું છે કે ‘રાજકીય પક્ષોની રાજનીતિ શરૂ રહેવા દો પણ ફિલ્મોનું શૂટિંગ અટકશે નહીં.’ તેમનું કહેવું છે કે અમે ખેડૂતોને ટેકો આપીએ છીએ. પરંતુ શૂટિંગ બંધ રાખવાનો આર્થિક બોજ ઉઠાવવો હવે ફિલ્મ ઉદ્યોગના કર્મચારીઓ માટે અસહ્ય છે.
શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થશે, આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે
મુંબઈ-થાણે અને તેની આસપાસના લોકો માટે એક મહત્વના સમાચાર એ છે કે નવી મુંબઈનું APMC બજાર સોમવારે બંધ રહેશે. અહીંથી મુંબઈ અને નજીકના વિસ્તારોમાં શાકભાજી સપ્લાય કરવામાં આવે છે. પૂણે બજાર સમિતિ પણ બંધમાં સામેલ થશે. તેવી જ રીતે સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પણ બંધમાં સામેલ થશે. આથી શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થવાનો છે.
પરંતુ રાજ્યભરમાં હોસ્પિટલ, દવાઓની દુકાનો જેવી આવશ્યક સેવાઓને બંધની બહાર રાખવામાં આવી છે. બંધનું સમર્થન કરનારી પાર્ટીઓ જ સરકાર ચલાવી રહી છે. તેથી, આ પક્ષોએ પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ કર્યું છે કે ‘મહારાષ્ટ્ર બંધ’ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું નથી, મહારાષ્ટ્ર સરકારમાં સામેલ પક્ષોના સ્તરે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે. આ પક્ષોએ જનતાને બંધને સફળ બનાવવા અપીલ કરી છે.
એનસીપી, શિવસેનાએ બંધને સફળ બનાવવા અપીલ કરી, કોંગ્રેસ પણ પાળશે મૌન
યુપીમાં લખીમપુર હિંસાના વિરોધમાં એનસીપીના વડા શરદ પવારે શાંતિપૂર્ણ રીતે બંધને સફળ બનાવવા હાકલ કરી છે. NCP પ્રવક્તા નવાબ મલિકે લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાના પિતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી છે.
શિવસેના તરફથી આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે તેમના કાર્યકરો અને નેતાઓને બંધને સફળ બનાવવા અપીલ કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને રાજભવન સામે મૌન રાખીને વિરોધ કરવાની અપીલ કરી છે. કોંગ્રેસ બપોરે 12 વાગ્યાથી રાજભવન સામે મૌન વ્રત રાખીને વિરોધ કરશે.
મુંબઈ, થાણે, પૂણે, નાગપુર, ઔરંગાબાદના વેપારીઓ બંધના વિરોધમાં
વિરેન શાહે મુંબઈના વેપારી સંગઠન વતી કહ્યું કે, ‘સોમવારે દુકાનો ખુલ્લી રહેશે. અમે ખેડૂતોને ટેકો આપીએ છીએ. પરંતુ દુકાનદારોને બંધમાં ખેંચવા જોઈએ નહીં. કોરોના બાદ ખૂબ જ મુશ્કેલીથી દુકાનો યોગ્ય રીતે શરૂ થઈ શકી છે. હાલમાં સ્ટાફને પગાર આપવો મુશ્કેલ બની રહ્યો છે. થાણેના વેપારીઓએ પણ દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે.
‘ખેડૂતોના સમર્થનમાં કાળી ટેપની પટ્ટીઓ પહેરશે પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે’
પૂણે ડિસ્ટ્રિક્ટ રિટેલ એસોસિએશનના પ્રમુખ સચિન નિવંગુણેએ જાહેરાત કરી હતી કે ‘કોરોનાને કારણે કફોડી બનેલી આર્થિક સ્થિતિ હમણાં જ સ્વસ્થ થવા લાગી છે. આવી સ્થિતિમાં અમે દુકાનો બંધ રાખવાની સ્થિતિમાં નથી. ખેડૂતોના સમર્થન માટે અમે ચોક્કસપણે એટલું કરીશું કે અમે કાળી ટેપ પહેરીશું પણ સાથે દુકાનો ખુલ્લી રાખીશું.
આ પણ વાંચો : ‘શિવસેનાનો વિલય કોંગ્રેસમાં કરવાની તૈયારી’, પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા સાંસદ સંજય રાઉત ભાજપના નિશાના પર