Maharashtra Suicide: મહારાષ્ટ્રમાં ડોક્ટર પરીવારના સામુહિક આપઘાતથી ખળભળાટ, પરિવારના 9 લોકોએ ટુંકાવ્યુ જીવન
પોલીસ (Maharashtra Police) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રવિવારે રાત્રે બની હતી અને સોમવારે (20 જૂન) બપોરે પ્રકાશમાં આવી હતી. ડૉક્ટર દંપતીના ઘરમાંથી છ અને તેમના ભાઈના ઘરેથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે.
મહારાષ્ટ્રના (Maharashtra News) સાંગલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં મિરજ તાલુકાના મહૈસાલમાં એક જ પરિવારના 9 લોકોએ આપઘાત કર્યો છે. આ તમામ પરિવારના સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. હાલ પોલીસ દ્વારા લોન ચુકવવાના તણાવને કારણે આત્મહત્યા કરી લેવાની આશંકા સેવાઈ રહી છે. સામૂહિક આપઘાતની (Mass Suicide) આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મૃત્યુ પામેલા તમામ સભ્યો એક ડોક્ટરના પરિવાર સાથે સંબંધિત હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રવિવારે રાત્રે બની હતી અને સોમવારે (20 જૂન) બપોરે પ્રકાશમાં આવી હતી. ડૉક્ટર દંપતીના ઘરમાંથી છ અને તેમના ભાઈના ઘરેથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે.
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પંચનામાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક રીતે લોન ચુકવવાના દબાણથી આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
એક ભાઈ શિક્ષક, બીજો તબીબ – બંને પરિવારોએ સાથે મળીને ઝેર ખાધું, રહસ્ય વધુ ઘેરાયું
સાંગલીના એક જ પરિવારના 9 સભ્યોએ બે અલગ-અલગ ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. એક ઘરમાંથી છ મૃતદેહો મળી આવ્યા છે અને બીજા ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. બે ભાઈઓનો પરિવાર હતો. આ પરિવારમાં એક ભાઈ ડોક્ટર અને બીજો ભાઈ શિક્ષક હતો. આ બંને ભાઈઓના પરિવારજનોએ પોતપોતાના ઘરે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ડૉક્ટરનું નામ માણિક યલ્લાપ્પા વનમોરે અને શિક્ષકનું નામ પોપટ યલ્લાપ્પા વનમોરે હતું. રવિવારે રાત્રે બંનેના પરિવારજનોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરનારાઓમાં બંનેની પત્ની અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આત્મહત્યા કરનારાઓમાં માતાનું નામ પણ સામેલ છે. માતા ડૉક્ટર ભાઈ સાથે રહેતી હતી.
પરિવારનો પળવારમાં અંત આવ્યો, આત્મહત્યા કરનારા લોકોના નામ સામે આવ્યા
આત્મહત્યા કરનારાઓના નામ પોપટ યલ્લાપ્પા વનમોરે (ઉંમર 52), સંગીતા પોપટ વનમોરે (48), અર્ચના પોપટ વનમોરે (30), શુભમ પોપટ વનમોરે (28), માણિક યલ્લાપ્પા વનમોરે (49), રેખા માણિક વનમોરે (45), આદિત્ય માણિક વનમોરે (15), પ્રતિમા માણિક વનમોરે (28) અને અક્તાઈ યલ્લાપ્પા વનમોરે (72) છે.
બપોર સુધી કોઈ બહાર ન આવતા પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સાંગલીના મિરજ તાલુકાના મહૈસાલ વિસ્તારમાં નરવાડ રોડ પાસે અંબિકા નગર ચોક પાસેની બિલ્ડીંગમાં ડો.વનમોરેનો પરિવાર રહેતો હતો. આ પરિવારનું એક ઘર અંબિકા નગરના નરવાડ રોડમાં છે અને બીજું ઘર હોટલ રાજધાની કોર્નરમાં છે.
એક ઘરમાં ડોક્ટરનો પરિવાર રહેતો અને બીજા ઘરમાં તેના શિક્ષક ભાઈનો પરિવાર રહેતો હતો. સોમવારે સવારથી બંને ઘરના દરવાજા ખુલ્યા ન હતા. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા પાડોશીઓએ દરવાજો ખોલ્યો તો ઘરની અંદર 6 લાશો વેરવિખેર પડી હતી. આ પછી બીજા ઘરમાંથી પણ 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે એક જ પરિવારના 9 સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી.