મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીને અપાઈ ખોટી રસી, નાસિકમાં સામે આવ્યો કોવેક્સિનને બદલે કોવિશિલ્ડ આપવાનો કિસ્સો
15 થી 18 વર્ષની વય જૂથ માટે શક્ય હોય ત્યાં સુધી સ્વતંત્ર રસીકરણ કેન્દ્રો સ્થાપવાનું સૂચન કરવામાં આવ્યું છે. કિશોરોને માત્ર કોવેક્સિન આપવામાં આવી રહી છે જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે કોવેક્સિનની સાથે કોવિશિલ્ડનો વિકલ્પ પણ છે. તેનાથી મૂંઝવણની સ્થિતિ સર્જાઈ શકે છે.
દેશના અન્ય ભાગોની જેમ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં, સોમવારથી 15 થી 18 વર્ષની વયના કિશોરોનું કોરોના રસીકરણ શરૂ (Corona vaccination in Maharashtra) કરવામાં આવ્યું હતું. પરંતુ યેવલા તાલુકાના પટોડામાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિદ્યાર્થીને કોવેક્સિન રસીના બદલે કોવિશિલ્ડનો (covishield instead of covaxin) ડોઝ આપવામાં આવ્યો હતો. આ પછી બાળકના વાલી ખૂબ નારાજ થઈ ગયા હતા. તેમણે સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નાસિક જિલ્લામાં 6 સ્થળો અને 39 રસીકરણ કેન્દ્રો પર કિશોરવયના છોકરાઓ અને છોકરીઓને રસી આપવામાં આવી રહી છે. શહેરમાં રસીકરણ માટે 11 કેન્દ્રો છે. જેમાં નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 કેન્દ્રો અને માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 કેન્દ્રોનો સમાવેશ થાય છે. બાકીના 29 રસીકરણ કેન્દ્રો જિલ્લાના અંતરિયાળ ભાગોમાં છે. આ 39 કેન્દ્રોમાંથી યેવલાના એક કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આ કિસ્સો સામે આવ્યો છે.
16 વર્ષના વિદ્યાર્થીને કોવેક્સિનને બદલે કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે
કોરોના સંક્રમણ વધવાના કારણે છેલ્લા અઢી વર્ષથી શાળા અને કોલેજો બંધ હતી. તાજેતરમાં તેમને શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ફરી એકવાર કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી વધવા લાગ્યું છે. આવી સ્થિતિમાં, પીએમ નરેન્દ્ર મોદીની કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની જાહેરાત પછી, આજથી (3 જુલાઈ, સોમવાર) 15 થી 18 વર્ષની વયના કિશોરોનું એન્ટિ-કોરોનાવાયરસ રસીકરણ શરૂ થયું.
સરકાર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે આ વયજૂથના કિશોરોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે. પરંતુ યેવલા તાલુકાના પટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અથર્વ પવાર નામના 16 વર્ષના વિદ્યાર્થીને કોવેક્સિનના બદલે કોવિશિલ્ડનો ડોઝ આપી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
વાલીએ કડક કાર્યવાહીની કરી માંગ
યેવલા તાલુકાની આ ગંભીર બેદરકારીથી ચિંતિત વિદ્યાર્થીના વાલીમાં ભારે રોષ છે. અથર્વ પવારના પિતા વસંત પવારે આ બેદરકારીની તપાસ અને દોષિત કર્મચારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ તાલુકાના આરોગ્ય અધિકારી હર્ષલ નેહતે આરોગ્ય કેન્દ્રમાં નિમાયેલા આરોગ્ય કર્મચારીની ભૂલ હોવાનું સ્વીકાર્યું છે. પરંતુ હાલમાં સંબંધિત કર્મચારી સામે શું પગલાં લેવાશે તે અંગે તેઓ મૌન છે. તેમણે તપાસ કરાવવાની વાત કરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધીરજ રાખવા જણાવ્યું છે. હાલમાં ખોટી રસી આપવામાં આવી હોવા છતાં અથર્વની તબિયત સારી છે. તેની કોઈ આડઅસર કે રીએક્શન જોવા મળ્યું નથી.
જણાવી દઈએ કે, 15 થી 18 વર્ષની વય જૂથ માટે શક્ય હોય ત્યાં સુધી સ્વતંત્ર રસીકરણ કેન્દ્રો સ્થાપવાનું સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે રાજ્યોને આ સલાહ આપી છે. કિશોરોને માત્ર કોવેક્સિન આપવામાં આવી રહી છે જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે કોવેક્સિનની સાથે કોવીશિલ્ડનો વિકલ્પ પણ છે. તેનાથી મૂંઝવણની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી અલગતાની કાળજી લેવી જરૂરી છે. તેમ છતાં નાસિકના યેવલામાં આ સાવચેતીઓનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું અને ખોટી રસી આપવાનો મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો : Sameer Wankhede Transferred: સમીર વાનખેડેનું થયું ટ્રાન્સફર, મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટરથી હવે આ વિભાગમાં ગયા