ભડકાઉ ભાષણ મામલે કાલીચરણ મહારાજને પૂણેની કોર્ટે આપ્યા જામીન, પરંતુ હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે, જાણો કારણ
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલીચરણને છત્તીસગઢના રાયપુરની કોર્ટ દ્વારા ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા બાદ પુણે લાવવામાં આવ્યા હતા. અહીં તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ.શેખની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ભડકાઉ ભાષણ કેસમાં (Inflammatory Speech Case) કાલીચરણ મહારાજને (Kalicharan Maharaj) આજે પુણેની અદાલતે (Pune Court) 25,000 રૂપિયાના જામીન (Bail) મંજૂર કર્યા છે. પરંતુ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં તેઓ હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં (Judicial Custody) રહેશે. પુણે પોલીસ તેમને છત્તીસગઢ પરત મોકલી રહી છે.
ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણને પુણેની અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. કાલીચરણ મહારાજે પુણે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. એક દિવસની પોલીસ કસ્ટડી બાદ કાલીચરણ મહારાજને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે રાયપુર ધર્મ સંસદની સાથે કાલીચરણ મહારાજે પુણેમાં પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રમાં, કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કાલીચરણ અને અન્ય છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કાલીચરણને છત્તીસગઢથી પુણે લાવવામાં આવ્યા હતા
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલીચરણને છત્તીસગઢના રાયપુરની કોર્ટ દ્વારા “ટ્રાન્ઝીટ રિમાન્ડ” મંજૂર કર્યા બાદ પુણે લાવવામાં આવ્યા હતા. અહીં તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ.શેખની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને એક દિવસ માટે પુણે પોલીસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ પછી, તેમને ગુરુવારે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ખડક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કાલીચરણને છત્તીસગઢ પોલીસ પાસેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પુણે લાવવામાં આવ્યા હતા.
19 ડિસેમ્બરના કાર્યક્રમને લઈને થયો વિવાદ
તેમણે કહ્યું કે પુણે પોલીસે કાલીચરણ અને દક્ષીણપંથી નેતા મિલિંદ એકબોટે, કેપ્ટન દિગેન્દ્ર કુમાર (નિવૃત્ત) અને અન્ય લોકો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો હતો. તેમના પર એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ છે.
તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજે મુઘલ સેનાપતિ અફઝલ ખાનને માર્યાની ઘટનાની યાદમાં 19 ડિસેમ્બર 2021ના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એકબોટેની આગેવાની હેઠળના હિન્દુ આઘાડી સંગઠન દ્વારા ‘શિવ પ્રતાપ દિન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે.