મહારાષ્ટ્ર-છત્તીસગઢને જોડશે દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન, 11 ડિસેમ્બરે PM મોદી કરશે લોકાર્પણ
વંદે ભારત ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. આ ટ્રેનના કોચના તમામ દરવાજા ઓટોમેટિક છે. ટ્રેનમાં મુસાફરો માટે હાઈસ્પીડ વાઈફાઈની સુવિધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 ડિસેમ્બરે છત્તીસગઢના બિલાસપુરથી – મહારાષ્ટ્રના નાગપુર રૂટ પર દોડનારી દેશની છઠ્ઠી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને લગભગ સાડા પાંચ કલાકમાં બિલાસપુરથી નાગપુર પહોચી જશે. રેલવે વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર ખાતે બિલાસપુર-નાગપુર વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે. સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન બિલાસપુરથી સવારે 6.45 વાગ્યે ઉપડશે અને લગભગ 12.15 વાગ્યે નાગપુર સ્ટેશને પહોંચશે. એ જ રીતે સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન નાગપુરથી બપોરે 2 વાગ્યે ઉપડશે અને સાંજે 7.35 કલાકે બિલાસપુર સ્ટેશને પહોંચશે. હાલમાં સુપરફાસ્ટ ટ્રેનોને બિલાસપુરથી નાગપુર પહોંચવામાં સાત કલાકનો સમય લાગે છે, જો કે આ ટ્રેન લગભગ સાડા પાંચ કલાકમાં અંતર કાપશે.
આ સ્ટેશને થોભશે વંદે ભારત
મીડિયા અહેવાલો અનુસાર, આ ટ્રેન દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા સંચાલિત કરવામાં આવશે અને રાયપુર, દુર્ગ અને ગોંદિયા ખાતે સ્ટોપ હશે. અધિકારીએ એમ પણ કહ્યું કે 2023માં સિકંદરાબાદ અને વિજયવાડા વચ્ચે અન્ય એક વંદે ભારત ટ્રેન શરૂ થવાની સંભાવના છે.
75 વંદે ભારત ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક
નવી યુવા પેઢી માટેની વંદે ભારત ટ્રેનનું સૌપ્રથમવાર મુંબઈ-અમદાવાદ રૂટ પર આ વર્ષે ઓક્ટોબરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રેલવેએ આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં 75 વંદે ભારત ટ્રેન દોડાવવાનો લક્ષ્ય રાખ્યો છે. સેમી-હાઈ-સ્પીડ ટ્રેનના તમામ કોચ ઓટોમેટિક દરવાજા ધરાવે છે. GPS-આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપરાંત, મનોરંજનના હેતુઓ માટે ઓનબોર્ડ હોટસ્પોટ Wi-Fiની સુવિધા પણ છે. આ ઉપરાંત મુસાફરો માટે ખુબ જ આરામદાયક બેઠકોથી રાખવામાં આવી છે. જોકે, પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્લી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર દોડાવવામાં આવી હતી.
વંદે ભારતની વિશેષતાઓ
15 ઓગસ્ટ, 2021ના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન દેશમાં કુલ 75 વંદે ભારત ટ્રેન દોડાવાશે. જેના થકી દેશના દરેક ખૂણાના શહેરોને જોડવામાં આવશે. ઝડપ, સલામતી અને સેવા આ ટ્રેનની ખાસ વિશેષતા છે. વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને તેમાં શતાબ્દી ટ્રેન જેવા કોચ છે પરંતુ મુસાફરો માટે વધુ સારી સુવિધા છે. ઝડપ અને સુવિધાના સંદર્ભમાં આ ટ્રેન ભારતીય રેલવે માટે આગામી મોટી ઉપલબ્ધિ છે.
દેશમાં દોડતી દરેક વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 1,128 મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ ટ્રેનમાં તમામ વર્ગના મુસાફરો માટે સાઇડ રિક્લાઇનર સીટની સુવિધા છે. વંદે ભારત ટ્રેનમાં ટચ-ફ્રી સુવિધાઓ સાથે બાયો-વેક્યૂમ શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે. દરેક કોચમાં ખાણી-પીણીની સુવિધા સાથે પેન્ટ્રી છે.