મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને ન મળી રાહત, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કર્યા 9 દિવસના રિમાન્ડ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કો-લોકેશન કૌભાંડના સંબંધમાં દિલ્હી કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને (Sanjay Pandey) 9 દિવસના ED રિમાન્ડ પર મોકલ્યા છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કો-લોકેશન કૌભાંડના સંબંધમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને (Sanjay Pandey Arrest) 9 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ અને સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓની જાસૂસી માટે સંજય પાંડેની ધરપકડ કરી હતી. આ સિવાય પણ પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને ઘણા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. 19 જુલાઈએ સંજય પાંડેની ED અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ સંજય પાંડેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા 18 જુલાઈ સોમવારના રોજ સીબીઆઈએ સંજય પાંડેની પૂછપરછ કરી હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર પરમબીર સિંહ દ્વારા લાદવામાં આવેલા 100 કરોડની વસૂલાતના સંદર્ભમાં સીબીઆઈએ સંજય પાંડેની પૂછપરછ કરી હતી, જ્યારે એનએસઈ કંપની કૌભાંડ કેસમાં ઈડીએ તેમની પૂછપરછ કરી હતી.
પોલીસમાંથી રાજીનામું આપ્યું, પણ સ્વીકારવામાં ન આવ્યું
તમને જણાવી દઈએ કે, સંજય પાંડેએ 2001માં પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હતું. આ પછી તેણે આઈટી ઓડિટ કંપની શરૂ કરી. થોડા સમય પછી, તેઓ ફરીથી પોલીસ સેવામાં જોડાયા અને તેમના પુત્રને કંપનીના ડિરેક્ટર બનાવ્યા. 2010 અને 2015 ની વચ્ચે, Isec Services Pvt Ltd નામની પેઢીને NSE ના સર્વર અને સિસ્ટમ સુરક્ષા સંબંધિત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ જ કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં ED તેમની પૂછપરછ કરી રહી છે. ઇડી તેમની પીએમએલએ એક્ટ હેઠળ પૂછપરછ કરી રહી છે.
CBI અને ED મળીને કાર્યવાહી કરી રહી છે
સીબીઆઈ 100 કરોડની રિકવરી કેસમાં સંજય પાંડે અને પરમબીર સિંહની પૂછપરછ કરી રહી છે. પરમબીર સિંહ પણ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. તેણે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને મુંબઈમાં રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરી રહ્યા છે. પરમબીર સિંહે એવો પણ આરોપ લગાવ્યો છે કે સંજય પાંડેએ તપાસમાં ઢીલા રહેવા માટે તેમના પર દબાણ કર્યું હતું.
30 જૂનના રોજ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા
સંજય પાંડે મુંબઈ પોલીસ કમિશનરનું પદ સંભાળતા પહેલા મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના ડિરેક્ટર હતા. આ પછી, એપ્રિલ 2021 માં, ઉદ્ધવ ઠાકરે સરકારે તેમને મહારાષ્ટ્રના ડીજીપી પદની વધારાની જવાબદારી આપી, પરંતુ આઈપીએસ રજનીશ સેઠને મહારાષ્ટ્રના ડીજીપી બનાવ્યા પછી, તેમની પાસેથી આ જવાબદારી લેવામાં આવી. આ પછી તેઓ મુંબઈના પોલીસ કમિશનર બન્યા. 1986 બેચના IPS અધિકારી સંજય પાંડે મુંબઈના 76મા પોલીસ કમિશનર હતા. તેમણે આઈપીએસ હેમંત નાગરાલે પાસેથી આ ચાર્જ લીધો હતો. તેઓ 30 જૂને પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા હતા અને આજે 19 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી.