‘એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી જશે, ભાજપે કરી મદદ’, શિવસેના નેતાનો મોટો દાવો
રાજીનામું આપતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) બળવાખોર ધારાસભ્યો સાથે ઘણી વખત વાત કરવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બળવાખોરો એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર નહીં બનાવવા પર અડગ હતા.
એકનાથ શિંદે (Eknath Shinde) સહિત શિવસેનાના 40 ધારાસભ્યો અને 10 અપક્ષોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકાર પડતાની સાથે જ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે લોકો કેબિનેટ વિસ્તરણની રાહ જોઈ રહ્યા છે. શું ઉદ્ધવ ઠાકરે ખરેખર ભાજપ સાથે પાછા જશે? મહારાષ્ટ્રમાં આજકાલ દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછી રહ્યો છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિવસેનાના નેતા દીપાલી સૈયદના ટ્વીટ બાદ ચર્ચા શરૂ થઈ છે કે રાજ્યમાં આવનારા દિવસોમાં નવો મોટો રાજકીય ઘટનાક્રમ થશે.
શિવસેનાના આ નેતાએ ટ્વીટ દ્વારા કર્યો દાવો
દીપાલી સૈયદે પોતાના ટ્વીટમાં કહ્યું કે, “આ સાંભળીને આનંદ થયો કે આગામી બે દિવસમાં આદરણીય ઉદ્ધવ સાહેબ અને આદરણીય શિંદે સાહેબ શિવસૈનિકોની ભાવનાઓ પર ચર્ચા કરવા માટે પહેલીવાર મળશે. સ્પષ્ટ છે કે શિંદે સાહેબ શિવસૈનિકોની ભાવના સમજતા હતા અને ઉદ્ધવ સાહેબે પરિવારના વડાની ભૂમિકા ખૂબ જ દિલથી નિભાવી હતી. આમાં મધ્યસ્થી કરવામાં મદદ કરવા બદલ ભાજપના નેતાઓનો આભાર. એક હોટ સ્પોટ રાહ જોઈ રહ્યુ હશે.’
@OfficeofUT @mieknathshinde @TawdeVinod @Pankajamunde pic.twitter.com/20JnC3QSma
— Deepali Sayed (@deepalisayed) July 16, 2022
દીપાલી સૈયદના આ ટ્વિટ બાદ ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જવા તૈયાર થશે? હવે આ પ્રશ્ન ઉભો થાય છે. દિપાલી સૈયદે ઉલ્લેખ કર્યો છે કે બંને વચ્ચે બેઠક ગોઠવવામાં ભાજપે પણ મદદ કરી છે.
એક દિવસ પહેલા દીપાલી સૈયદે વધુ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ‘માનનીય આદિત્ય સાહેબ જલ્દી કેબિનેટમાં આવે. શિવસેનાના 50 ધારાસભ્યોએ માતોશ્રી પર હાજર થવું જોઈએ. આદરણીય ઉદ્ધવ સાહેબ અને આદરણીય શિંદે સાહેબે એક થવું જોઈએ. શિવસેના કોઈ જૂથ નથી પરંતુ હિન્દુત્વનો ગઢ છે. ભગવો હંમેશા તેના પર લહેરાતો રહેશે.
તમને જણાવી દઈએ કે રાજીનામું આપતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ ઘણી વખત બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવાનો અને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બળવાખોરો એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર નહીં બનાવવા પર અડગ હતા. તેમણે કહ્યું હતું કે શિવસેનાનું ભાજપ સાથે સ્વાભાવિક ગઠબંધન છે.