શિવસેનાનાં વધુ એક નેતા EDના સકંજામાં, મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મળતા સાંસદની વધી મુશ્કેલી
ભાવના ગવલીને મની લોન્ડરિંગ કેસમાં ED ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યુ છે. ભાવના ગવલી મહારાષ્ટ્રના યવતમાલ-વાશિમથી શિવસેનાના સાંસદ છે.
Maharashtra : શિવસેના વધુ એક સાંસદ પર EDનું સંકટ તોળાઈ રહ્યુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ ભાવના ગવલીને સમન્સ પાઠવ્યું છે. જેમાં સાંસદને 4 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.48 વર્ષીય ભાવના ગવલી મહારાષ્ટ્રના યવતમાલ-વાશિમના સાંસદ છે.
ઉલ્લેખનીય છે કે,મંગળવારે EDએ મોટી કાર્યવાહી કરતા ભાવના ગવલીની કંપનીના ડિરેક્ટર અને તેના નજીકના સહયોગી સઇદ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની વિશેષ કોર્ટે તેને 1 ઓક્ટોબર સુધી ED (Enforcement Directorate)કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો છે. ફાઈનાન્સિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ના નિયમો હેઠળ સઈદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થયા બાદ સઇદ ખાનને ખાસ PMLA કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને આ મામલામાં વધુ તપાસ માટે ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
ED એ PMLA કોર્ટમાં શું કહ્યું ?
મંગળવારે ઇડીએ PMLA કોર્ટને જણાવ્યું હતુ કે, ગવલીએ સઇદ ખાન મારફતે એક ટ્રસ્ટને પોતાની ખાનગી કંપની છેતરપિંડીથી 18 કરોડમાં ખોટી રીતે રૂપાંતરિત કરી હતી.તમને જણાવી દઈએ કે,એક મહિના પહેલા પણ ઇડીએ ભાવના ગવલીના(Bhavna Gawli) પાંચ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 100 કરોડના કૌભાંડના આરોપ પર આ દરોડ પાડવામાં આવ્યા હતા.
શિવસેના સાંસદની વધી મુશ્કેલી
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાવના ગવલીએ બેન્કો અને અન્ય સંસ્થાઓ (Other Institute) પાસેથી 100 કરોડ રૂપિયા લીધા હતા અને તેનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ભાવના ગવલી પર 55 કરોડની ફેક્ટરી 25 લાખમાં ખરીદી હોવાનો પણ આરોપ છે. પરંતુ ભાવના ગવલીએ ઇડીના દરોડા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, નોટિસ આપ્યા વગર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પરિવહન મંત્રી અનિલ પરબની પણ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી
આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબની પણ ED દ્વારા આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અનિલ પરબે પૂછપરછ બાદ જણાવ્યું હતું કે, તેમણે પૂછપરછમાં ઇડીને સંપૂર્ણ સહકાર આપ્યો છે. તેઓ ભવિષ્યમાં પણ સહકાર આપશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અનિલ પરબ સાથે જોડાણનો આરોપ છે.
આ પણ વાંચો: આ નર્સે કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી ! જાણો પછી શું થયુ…..