Maharashtra: નાસિકમાં અનુભવાયા ભુકંપના આંચકા, રીક્ટર સ્કેલ પર નોંધાઈ 3.5ની તીવ્રતા
ગુરુવારે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની માપવામાં આવી હતી.
મહારાષ્ટ્રના નાસિક (Nasik) જિલ્લામાં ગુરુવારે બપોરે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ બપોરે 2.38 કલાકે આવ્યો હતો. ભૂકંપ નાસિકથી 95 કિમી પશ્ચિમમાં થયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની માપવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટરની અંદર હોવાનું કહેવાય છે. જો કે આ ભૂકંપને કારણે કોઈપણ પ્રકારના જાન માલના નુકસાન વિશેની કોઈ માહિતી સામે આવી નથી. આ પહેલા ગુરુવારે સવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપ સવારે 8:46 વાગ્યે આવ્યો હતો અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 5 કિમીની અંદર હતું. પાલઘરમાં આવેલ આ ભૂકંપમાં કોઈ જાન -માલનું નુકસાન થયું નહોતું.
An earthquake of magnitude 3.5 on the Richter scale occurred 95 km west of Nashik, Maharashtra at 1428 hours: National Center for Seismology
— ANI (@ANI) September 30, 2021
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકબીજા સાથે ફસાયેલી રહે છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. કેટલીક વાર તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધી જાય છે.
ભારતમાં પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ હિલચાલ વધારે હોય છે અને કેટલાક સ્થળોએ ઓછી હોય છે. આ શક્યતાઓના આધારે ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.
જે જણાવે છે કે ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર ક્યાં છે. આ અનુસાર ઝોન-5માં ભૂકંપ આવવાની શક્યતા વધુ રહેતી હોય છે, ઝોન-4માં તેનાથી ઓછી અને ઝોન-3માં તેનાથી પણ ઓછી શક્યતા હોય રહેતી હોય છે. બીજી તરફ ગુજરાતમાં કચ્છની ધરામાં થયેલો ગોઝારો ધરતીકંપ કોઈના પણ મગજમાંથી વિસરાય એમ નથી. જ્યારે નિષ્ણાંતોના કહેવા મુજબ કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય છે.
ભૂકંપ જેવી કુદરતી આપદાનો કોઈ અંદાજો આવી શકતો નથી. ત્યારે ભૂકંપ આવતા કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ જાણવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે વ્યક્તિ ઓફિસ કે ઘરે હોય તો તરત ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાંથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે, જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.
આ પણ વાંચો : મુંબઈની આ મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 29 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ