Mumbai: રાજભવનના દરબાર હોલનું ઉદ્ઘાટન મોકૂફ, CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને કારણે લેવાયો નિર્ણય
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું કે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે મુંબઈમાં રાજભવન ખાતે દરબાર હોલનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે.
મુંબઈ (Mumbai) માં રાજભવન ખાતે દરબાર હોલનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Maharashtra Governor Bhagat Singh Koshyari) એ જણાવ્યું હતું કે બુધવારે થયેલી લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સાથે રાજભવનમાં દરબાર હોલનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવ્યું છે.
બુધવારે જ દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 13 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેના કારણે દેશભરમાં શોકની લહેર છે.
રાજ્યપાલ ભગત સિંહે કર્યું ટ્વીટ
આ દરમિયાન કોશ્યારીએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું- ‘તમિલનાડુમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશના દુઃખદ સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું. હું CDS બિપિન રાવત, તેમની પત્ની અને સેનાના તમામ જવાનોના સ્વાસ્થ્યની કામના કરું છું.
આખો દેશ શોકમાં, શ્રદ્ધાંજલિનો પ્રવાહ
તે જ સમયે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ઘણા લોકોએ આ દુઃખદ અકસ્માતને લઈને CDS સહિત જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. સમગ્ર દેશમાં શોકની લહેર છે.
બિપિન રાવત વિશે જાણો
બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં થયો હતો. તેમના પિતા એલએસ રાવત સેનામાંથી લેફ્ટનન્ટ જનરલ તરીકે નિવૃત્ત થયા હતા. રાવતે ઈન્ડિયન મિલિટરી એકેડમીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. રાવતને IMA દેહરાદૂન ખાતે ‘સ્વોર્ડ ઓફ ઓનર’થી નવાજવામાં આવ્યા છે. તેમણે વર્ષ 2011માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી મિલિટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડી કર્યું હતું. રાવતે 01 સપ્ટેમ્બર 2016ના રોજ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
નેવીના 22મા મિસાઈલ ફ્લીટને ‘પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ’નું સન્માન
દરબાર હોલના ઉદ્ઘાટનના આગલા દિવસે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ માનક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ અવસરે રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે આ મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનના વર્તમાન અને અગાઉના સ્ટાફની અસાધારણ સેવાઓ માટે આ સન્માન છે. આ વર્ષે આ કાફલાની સ્થાપનાનું 50મું વર્ષ છે. આ કાફલાને ‘કિલર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્વોડ્રને છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્વસનીય દરિયાઈ આક્રમક ક્ષમતા જાળવી રાખી છે.
આ પણ વાંચો : આવનારા સમયમાં મોંઘવારી વધુ વકરશે ! દેશના સામાન્ય માણસે જરૂર જાણવી જોઈએ RBI ગવર્નરની આ 5 મોટી વાતો