ફડણવીસનો પલટવાર ! આદિત્ય ઠાકરેને ગણાવ્યા ‘મર્સિડીઝ બેબી’, જેમણે સંઘર્ષ જોયો નથી, તેઓ ઉડાવી શકે છે કારસેવકોની મજાક
દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે અમારા જેવા લાખો કાર સેવકોને ગર્વ છે કે જ્યારે બાબરીનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો ત્યારે અમે ત્યાં હતા. હું ત્યાં વ્યક્તિગત રીતે હતો અને તે સમયે કોર્પોરેટર હતો.
ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) બુધવારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે પર વળતો પ્રહાર કરતા તેમને ‘મર્સિડીઝ બેબી’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ (ઠાકરે) એવા વ્યક્તિ છે જે અયોધ્યામાં રામ મંદિર માટે લડી રહેલા કાર સેવકોના (kar sevak) સંઘર્ષની કદર કરી શકતા નથી. શિવસેનાના નેતાએ કથિત રીતે ફડણવીસના દાવાની મજાક ઉડાવી હતી કે તેઓ 1992માં જ્યારે બાબરી ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે તેઓ ત્યાં હાજર હતા. ઠાકરેએ (Aaditya Thackeray) કથિત રીતે કહ્યું હતું કે, તો પછી ફડણવીસે 1857ના બળવામાં પણ ભાગ લીધો હોવો જોઈએ.
ફડણવીસે વળતો પ્રહાર કરતાં કહ્યું કે મોંમાં સોનાની ચમચી લઈને જન્મેલા આ ‘મર્સિડીઝ બેબી’ને ક્યારેય સંઘર્ષ કરવો પડ્યો નથી અને ન તો કોઈ સંઘર્ષ જોયો છે. તેથી તેઓ ચોક્કસપણે કાર સેવકોના સંઘર્ષની મજાક ઉડાવી શકે છે. અમારા જેવા લાખો કાર સેવકોને ગર્વ છે કે જ્યારે બાબરીનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો ત્યારે અમે ત્યાં હતા. હું ત્યાં વ્યક્તિગત રીતે હતો અને તે સમયે કોર્પોરેટર હતો.
હું પુનર્જન્મમાં માનું છું…
ફડણવીસે કહ્યું કે હું હિંદુ છું અને તેથી હું પાછલા જન્મ અને પુનર્જન્મમાં માનું છું. જો મારો પાછલો જન્મ થયો હોત, તો મેં તાત્યા ટોપે અને ઝાંસીની રાણી (રાણી લક્ષ્મીબાઈ) સાથે 1857ના યુદ્ધમાં ભાગ લીધો હોત.
આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના, બીજેપી નેતાએ કહ્યું કે તમે (તમારા અગાઉના જન્મમાં), અંગ્રેજો સાથે ગઠબંધન કર્યું હશે કારણ કે હવે તમે એવા લોકો સાથે ગઠબંધન કર્યું છે જેઓ 1857 ના યુદ્ધને સ્વતંત્રતા સંગ્રામ નથી માનતા. આ પછી, એક કાર્યક્રમમાં બોલતા ફડણવીસે કહ્યું કે જ્યારે તેઓ રામ મંદિર આંદોલન દરમિયાન અયોધ્યા ગયા હતા ત્યારે તેઓ 22 વર્ષના હતા, નહી કે 13 વર્ષ, જેમ કે કેટલાક લોકોએ તેમના વિશે કહ્યું છે.
અમૃતા ફડણવીસને લઈને તંજ કસ્યો
આ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહા ઉત્સવ નામના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને તેમના ગીત પર ટોણો માર્યો હતો. આના પર અમૃતા ફડણવીસે પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો. ઉદ્ધવ ઠાકરેએ કાર્યક્રમમાં કહ્યું હતું કે મને લાગ્યું કે ગીત એક જ વ્યક્તિ ગાય છે. તેના પર ટ્વીટ કરીને અમૃતા ફડણવીસે જવાબ આપ્યો કે મને લાગ્યું કે અબજોપતિ ફક્ત તમે જ છો. હવે ખબર પડી કે તમારા પત્નીનો ભાઈ પણ અબજોપતિ છે.