મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ કોરોના અંગે નિવેદન, કહ્યુ- ત્રીજી લહેરની પીક જતી રહી, નવા વેરિઅન્ટથી ડરવાની જરૂર નથી
રાજેશ ટોપેએ કહ્યું, હોસ્પિટલમાં 92 થી 95 ટકા બેડ ખાલી છે. પોઝિટિવ મળેલા દર્દીઓમાંથી માત્ર 5 થી 7 ટકા જ હોસ્પિટલના બેડ પર છે. ICU અને ઓક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓ માત્ર 1 ટકા છે. તેથી ચિંતાનું કોઈ કારણ નથી.
છેલ્લા ઘણા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં (Maharashtra Corona Update) સતત ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ જ્યારે કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને દરરોજ 45 થી 50 હજાર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) ટોચ પર છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે પત્રકારો સાથે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સંક્રમિતોની સંખ્યા હજુ પણ વધી રહી છે. આવા શહેરોમાં નાસિક, નાગપુર, પુણે, ઔરંગાબાદનો સમાવેશ થાય છે. પરંતુ મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર જેવા શહેરો અને નગરોમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આ સંદર્ભમાં એમ કહી શકાય કે રાજ્યમાં ત્રીજી લહેરનું પીક આવીને જતુ રહ્યું.
રાજેશ ટોપેએ વધુમાં કહ્યું, ભલે શહેરોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. આ બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હાલમાં સંક્રમિત દર્દીઓ સારવાર બાદ પાંચથી છ દિવસમાં સાજા થઈ રહ્યા છે. તેથી, ગામડાઓમાં વધી રહેલા કોરોના કેસોને જોઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી.
નવા વેરિઅન્ટ NeoCov ને લઈને પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી
હાલમાં, કોરોનાના નવા વેરિઅન્ટ, NeoCov ના જોખમને લઈને સમગ્ર વિશ્વમાં એક નવો ભય ઉભો થયો છે. નિષ્ણાતોના મતે, ચામાચીડિયા દ્વારા ફેલાયેલ આ વેરિઅન્ટ એટલો ખતરનાક છે કે તે દર ત્રણ સંક્રમિત વ્યક્તિમાંથી એકનું મોત થઈ શકે છે. રાજેશ ટોપેએ પણ આ નવા કોરોના વેરિઅન્ટ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
તેમણે કહ્યું, ‘હાલમાં, નવા વેરિઅન્ટની ચર્ચા શરૂ થઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આ અંગે સંશોધન કરી રહી છે. નવો વેરિઅન્ટ પહેલા કરતા વધુ ઘાતક છે, આ માહિતી પણ મળી રહી છે. પરંતુ નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દી હજુ સુધી ક્યાંય મળ્યો નથી. તેથી અત્યારે તેના વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી.’
માસ્ક મુક્ત મહારાષ્ટ્રની મેં નથી કરી વાત
આ દરમિયાન, ઓછા કોરોના સંક્રમણને કારણે આ ચર્ચા શરૂ થઈ છે કે, હવે રાજ્યમાં માસ્કનો ઉપયોગ જરૂરી નથી. આ અંગે રાજેશ ટોપેએ કહ્યું, મેં ક્યારેય માસ્ક મક્ત મહારાષ્ટ્રની વાત નથી કરી. કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણ રીતે ટળ્યો નથી. તેથી ટાસ્ક ફોર્સે આ અંગે માર્ગદર્શન આપવું જોઈએ.
રાજ્યમાં હજુ કેટલા દિવસ પ્રતિબંધો જાળવવા પડશે તેની માહિતી લોકોને મળે તો તેમના માટે સરળતા રહેશે. ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, હોલેન્ડ જેવા દેશોમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે તેમના અનુભવો પરથી કેટલાક અભિપ્રાય બનાવી શકીએ, આના પર આઈસીએમઆર સાથે ચર્ચા કરવા માટે અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ અંગે વિનંતી કરી છે.
મહારાષ્ટ્રે કોરોના સામે લડવા માટે કરી છે આ તૈયારી
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં હોસ્પિટલોમાં 92 થી 95 ટકા બેડ ખાલી પડેલા છે. પોઝિટિવ મળેલા દર્દીઓમાંથી માત્ર 5 થી 7 ટકા જ હોસ્પિટલના બેડ પર છે. ICU અને ઓક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓ માત્ર 1 ટકા છે. તેથી ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ એવું નથી કે કોરોના સંકટ સંપૂર્ણપણે ટળી ગયું છે.
આ પણ વાંચો : Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા