મુંબઈનું છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ 10 મેના રોજ આ કારણથી છ કલાક માટે રહેશે બંધ
Mumbai Airport: સીએસએમઆઈએ (CSMIA)એ તમામ મુસાફરોને કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમની સંબંધિત એરલાઈન્સ સાથે 10 મેનું ફ્લાઈટ શેડ્યૂલ તપાસવાની સલાહ આપી છે.
મુંબઈનું (Mumbai) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) ચોમાસા પહેલા જાળવણી અને સમારકામ માટે 10 મેના રોજ તમામ ફ્લાઈટ ઓપરેશન્સ માટે છ કલાક માટે બંધ રહેશે. આ માટે બંને રનવે, RWY 14/32 અને 9/27, 10 મેના રોજ સવારે 11થી સાંજના 5 વાગ્યાની વચ્ચે તમામ ફ્લાઈટ કામગીરી માટે બંધ રહેશે. તમામ એરલાઈન્સને પહેલેથી જ નોટીસ જાહેર કરવામાં આવી છે અને તે દિવસે સાંજે 5 વાગ્યે બે રનવે પર જાળવણી કાર્ય પૂર્ણ થયા બાદ સામાન્ય કામગીરી ફરી શરૂ થશે. સીએસએમઆઈએ (CSMIA)એ તમામ મુસાફરોને કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમની સંબંધિત એરલાઈન્સ સાથે 10 મેનું ફ્લાઈટ શેડ્યૂલ તપાસવાની સલાહ આપી છે.
10 મેના રોજ બે રનવે 6 કલાક માટે બંધ રહેશે
Mumbai | Both the runways of Chhatrapati Shivaji Maharaj International Airport will remain non-operational on May 10th for pre-monsoon maintenance & repair work. The closure will be effective from 1100hrs to 1700hrs. All operations will resume as usual post that: CSMIA
— ANI (@ANI) May 2, 2022
વાવાઝોડાના કારણે લેન્ડિંગ દરમિયાન થયો અકસ્માત, 12 મુસાફરો ઘાયલ
મુંબઈ અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુર વચ્ચે ઉડતું સ્પાઈસ જેટ એરક્રાફ્ટ રવિવારે લેન્ડિંગ દરમિયાન તોફાનમાં ફસાઈ ગયું હતું. આ ઘટનામાં 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જો કે બોઈંગ B737 એરક્રાફ્ટ સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું. એરલાઈને જણાવ્યું હતું કે ઘાયલોને તબીબી સહાય આપવામાં આવી હતી અને જરૂર પડ્યે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સ્પાઈસજેટે આપી આ પ્રતિક્રિયા
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્પાઈસજેટ બોઈંગ 737 એરક્રાફ્ટ, એસજી-945 ફ્લાઈટ તરીકે કામ કરી રહ્યું હતું, તે મુંબઈથી દુર્ગાપુર જઈ રહ્યું હતું. દુર્ગાપુર ખાતે લેન્ડિંગના થોડા સમય પહેલા ફ્લાઈટને તોફાનનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
સ્પાઇસજેટે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે પ્લેનમાં હંગામો થયો, ત્યારે પાયલટે સીટ બેલ્ટની સાઈન ઓન કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂડ ટ્રોલી સાથે અથડાતા બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.