Maharashtra Political Crisis: ભાજપની કોર કમિટીની બેઠક પૂરી, અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે? મુનગંટીવારે આપ્યુ આ નિવેદન
ભાજપ (BJP) કોર કમિટીની બેઠક સોમવારે (27 જૂન) સાંજે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) સાગર બંગલામાં સમાપ્ત થઈ. આ બેઠક પહેલા મહારાષ્ટ્રના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુધીર મુનગંટીવારે વિજયની નિશાની બતાવી હતી.
એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળ્યા બાદ શિંદે જૂથમાં ઉત્સાહનો માહોલ છે. આ સાથે જ ભાજપની છાવણીમાં પણ હિલચાલ વધી ગઈ છે. ભાજપ કોર કમિટીની બેઠક સોમવારે (27 જૂન) સાંજે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં સમાપ્ત થઈ. આ બેઠક પહેલા મહારાષ્ટ્રના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુધીર મુનગંટીવારે વિજયની નિશાની બતાવી હતી. જ્યારે તે બહાર આવ્યા ત્યારે પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા.
પત્રકારોએ તેમને પૂછ્યું કે શું ભાજપ હવે વિધાનસભામાં મહા વિકાસ આઘાડી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં સુધીર મુનગંટીવારે કહ્યું કે ભાજપ અત્યારે વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં છે. હજુ સુધી એકનાથ શિંદે જૂથ તરફથી કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. હાલમાં ભાજપની ટીમ શિવસેનાના ભાગલા અને રાજ્યની રાજકીય સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
સુધીર મુનગંટીવારે કહ્યું ‘સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે તરત જ ભાજપની કોર ટીમની બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપની કોર કમિટીએ કોર્ટના નિર્ણય, શિવસેનામાં વિભાજન અને રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. કોર્ટના નિર્ણય પછી વિધાનસભા સંબંધિત સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. હજુ સુધી અમને એકનાથ શિંદે તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. તેઓ હજુ પણ પોતાને શિવસૈનિક ગણાવે છે. શિવસેના તરફથી જો કોઈ પ્રસ્તાવ આવશે તો તેના પર ચોક્કસપણે વિચાર કરવામાં આવશે. રાજ્યની ભવિષ્યની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભાજપ તેની ભૂમિકા સ્પષ્ટ કરશે. હાલ ભાજપ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં છે.
‘શિવસેનાનો પ્રસ્તાવ આવશે તો ભાજપની કોર કમિટી ફરીથી બેઠક કરશે’
સુધીર મુનગંટીવારે કહ્યું ‘એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો પોતાને બળવાખોર નહીં, પરંતુ સાચા શિવસૈનિક ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તેઓ 24 કેરેટ શિવસેના છે. હવે સંજય રાઉતના શબ્દોમાં કહીએ તો કોણ બળવાખોર અને કોણ તોફાની એ તો સમય જ કહેશે. હું શિવસેનાના કોઈપણ ધારાસભ્યને બળવાખોર નથી માનતો. ભાજપના ધારાસભ્ય તરીકે હું આ કરી શકતો નથી. પરંતુ શિવસેના અને તેમના બહુમતી જૂથ તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. બળવાખોર ધારાસભ્યોના કોઈપણ પ્રસ્તાવ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તેઓ પોતાને મૂળ શિવસૈનિક માને છે. તેથી જો શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો ભાજપની કોર કમિટી ફરીથી તેના પર વિચાર કરવા બેસશે.