Maharashtra political crisis: મહારાષ્ટ્રમાં ભાજપ થયું સક્રિય, શિંદે-ફડણવીસની બેઠકથી ઠાકરેની ચિંતામાં વધારો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ઈચ્છે છે કે વિધાનસભામાં પહેલા બળવાખોર જૂથને માન્યતા આપવામાં આવે અથવા તો ધારાસભ્ય દળ અને સાંસદોની સાથે સંગઠન સ્તરે શિવસેનામાં વિભાજન થાય. બળવાખોર જૂથ પોતે જ વાસ્તવિક શિવસેના હોવાનો દાવો કરે છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાની (Shiv Sena) આંતરિક કટોકટી નવો રાજકીય વળાંક લઈ રહી છે. શિવસેના સરકાર કરતાં પોતાના પક્ષને બચાવવા માટે વધુ પ્રયત્નો કરી રહી છે ત્યારે ભાજપની સક્રિયતા પણ હવે નવી સરકાર બનાવવા માટે દેખાઈ રહી છે. દરમિયાન શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે (Eknath Shinde) અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) વચ્ચે મુલાકાતના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ ભાજપે હજુ સુધી આ સમગ્ર મામલે મૌન જાળવી રાખ્યું છે.
શિવસેનાના બળવાખોર જૂથને બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યા પછી પણ ભાજપ ખુલ્લેઆમ સામે આવ્યું નથી. તેની પાછળ પણ કોઈ કારણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ઈચ્છે છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પહેલા બળવાખોર જૂથને માન્યતા આપવામાં આવે અથવા તો ધારાસભ્ય દળ અને સાંસદોની સાથે સંગઠન સ્તરે શિવસેનામાં વિભાજન થાય. બળવાખોર જૂથ પોતે જ વાસ્તવિક શિવસેના હોવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા તો જળવાઈ રહેશે જ, પરંતુ ભાજપમાં વિલીનીકરણ પણ ટાળવામાં આવશે.
પવારના પગલાની જોવાઈ રહી છે રાહ
દરમિયાન, બધાની નજર એનસીપી નેતા શરદ પવારના હવે પછીના વલણ ઉપર પણ છે કે શું તેઓ મહા વિકાસ અઘાડી સરકારને બચાવવા માટે કોઈ પ્રયાસ કરે છે અથવા શિવસેનને પોતાના પર છોડવા માંગે છે. હાલમાં શિવસેના એકલા હાથે લડાઈ લડી રહી હોવાનું લાગે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી વિવિધ બેઠકોમાં અપેક્ષા કરતા ઓછા નેતાઓ આવવાના કારણે શિવસેનાનુ સંકટ પણ વધ્યું છે. તો બીજીબાજુ, બળવાખોરો પણ ધીમે ધીમે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે અને તેમના હાથમાંથી બાજી સરકી ના જાય તે માટે સાવચેતીપૂર્વકના પગલા ભરે છે.
એક-બે દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની વડોદરામાં શુક્ર-શનિવારની વચ્ચેની રાત્રે થયેલી ખાનગી મુલાકાતની વાત બહાર આવી નથી. પરંતુ મુંબઈ, વડોદરા અને ગુવાહાટી વચ્ચે જે કાંઈ બન્યું છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં ભાવિ સરકારની રચનાની દિશામાં એક મોટી કવાયત હોવાનુ માનવામાં આવે છે. આગામી એક-બે દિવસમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ભાજપને કોઈ ઉતાવળ નથી
બળવાખોર જૂથ વિધાનસભાના ઉપાધ્યક્ષથી લઈને રાજભવન સુધી અસલી શિવસેના હોવાનો દાવો કરી શકે છે. ભાજપ નેતૃત્વ પણ આ મામલે ઉતાવળમાં નથી અને તે શિવસેનાના સંપૂર્ણ ભંગાણ પડે અને સ્થિતિ સ્પષ્ટ થયા બાદ જ પોતાની રણનીતિ જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે હવે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર ચલાવવી શક્ય નથી અને શિવસેનાના બળવાખોરોની મદદથી ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવવાનો માર્ગ પણ ધીમે ધીમે બનાવવામાં આવી રહ્યો છે.