ભાજપ-એકનાથ શિંદે જૂથ મહારાષ્ટ્રમાં રચશે સરકાર ! શિંદેને નાયબ મુખ્યપ્રધાન ઉપરાંત 12 ખાતા સોપાઈ શકે છે
એકનાથ શિંદે ભલે શિવસેના માટે મુસીબત બની ગયા હોય પરંતુ તેઓ પોતાને શિવસેના અને બાળાસાહેબથી અલગ માનતા નથી. આના પરિણામે મીરા ભાયંદરથી થાણે સુધી એકનાથ શિંદેના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે.
Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા વચ્ચે ભાજપે એકનાથ શિંદેને (Eknath Shinde) મોટી ઓફર કરી છે, સૂત્રોને ટાંકીને અહેવાલ સામે આવ્યા છે કે ભાજપે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ (Deputy Chief Minister) સાથે 12 કેબિનેટ મંત્રીઓની ઓફર કરી છે. જ્યારે શિવસેનાના (Shiv Sena) બળવાખોર ધારાસભ્યોનું સમર્થન શિંદે તરફ વધી રહ્યું છે. આ સિવાય સંજય રાઉતે પણ સ્વીકાર્યું છે કે હવે શિવસેના પાસે 20 ધારાસભ્યો છે. જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) નેતાઓ અને ધારાસભ્યો સાથેની બેઠક રદ કરી છે.
મુંબઈમાં શિંદેના પોસ્ટર લાગ્યા
કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોની સંખ્યા ઓછી હોવાને કારણે તેમણે મીટિંગ રદ કરી હતી. એકનાથ શિંદે ભલે શિવસેના માટે મુસીબત બની ગયા હોય પરંતુ તેઓ પોતાને શિવસેના અને બાળાસાહેબથી અલગ માનતા નથી. આના પરિણામે મીરા ભાયંદરથી થાણે સુધી એકનાથ શિંદેના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, જેમાં શિંદે સાથે બાળાસાહેબ ઠાકરેની તસવીર પણ લગાવવામાં આવી છે.
શિંદે સમર્થકોની યાદી આજે જાહેર કરવામાં આવશે
મીડિયા રીપોર્ટ અનુસાર, દીપક કેસરકરે જણાવ્યું કે ગુવાહાટીમાં એકનાથ શિંદે પાસે શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે અને આજે ગુરુવાર સાંજે એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોની યાદી જાહેર કરશે. કેસરકરે જણાવ્યું કે શિંદે આજે ગુરુવાર સાંજે તમામ ધારાસભ્યોના નામની જાહેરાત કરવા જઈ રહ્યા છે. દરમિયાન, શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે શા માટે ધારાસભ્યો છોડી ગયા તે અમે ટૂંક સમયમાં જાહેર કરીશુ અને હજુ પણ 20 ધારાસભ્યો શિવસેનાના સંપર્કમાં છે.
સંજય રાઉત ભલે ગમે તે કહે, પરંતુ એક વાત ચોક્કસ છે કે એકનાથ શિંદે ગુવાહાટીમાં તેમની વધતી જતી ટીમ સાથે ફ્રન્ટફૂટ પર બેટિંગ કરી રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરે સત્તાવાર નિવાસ છોડીને માતોશ્રીમાં શિફ્ટ થવાનો એક જ અર્થ છે, કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન બદલાઈ રહ્યાં છે અને આજે મહારાષ્ટ્રની સત્તા પણ બદલાઈ શકે છે.