Antilia Case : આ મહિલા પોલીસ અધિકારીએ પણ અનિલ દેશમુખની ફરિયાદ કરી હતી, જાણો સમગ્ર બાબત
Antilia Case : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. પરમબીરસિંઘ પહેલા આ મહિલા પોલીસ અધિકારીએ પણ અનિલ દેશમુખની ફરિયાદ કરી હતી.
Antilia Case : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પૂર્વ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેમના દ્વારા ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગ કરી છે. આ અરજીમાં પરમબીરસિંઘે વધુ એક ખુલાસો કરતાં લખ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસના એક મોટા પોલીસ અધિકારીએ પણ અગાઉ અનિલ દેશમુખના દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારના આરોપોની ફરિયાદ કરવામાં આવી હતી.
રશ્મિ શુક્લાએ અનિલ દેશમુખની ફરિયાદ કરી હતી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં તત્કાલિન ગુપ્તચર કમિશનર રશ્મિ શુક્લાનો ઉલ્લેખ કર્યો છે. પરમિબીરસિંહે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે રશ્મિ શુક્લાએ ગત વર્ષે ગૃહપ્રધાન અનિલ દેશમુખના ભ્રષ્ટાચાર અંગે તત્કાલીન પોલીસ મહાનિદેશકને માહિતી આપી હતી.
પરમબીરસિંઘે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે આ અગાઉ 24 કે 25 ઓગસ્ટ 2020 ના રોજ રાજ્ય ગુપ્તચર કમિશનર રહી ચૂકેલા રશ્મિ શુક્લાએ પોલીસ મહાનિદેશકને અનિલ દેશમુખ વિરુદ્ધ ફરિયાદ કરતાં કહ્યું હતું કે અનિલ દેશમુખ પોસ્ટિંગ અને ટ્રાન્સફરમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જોકે, તે સમયે અનિલ દેશમુખ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને બધુ ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું.
કોણ છે રશ્મિ શુક્લા ? રશ્મિ શુક્લા 1988 ની બેચના આઈપીએસ અધિકારી છે.નાગરિક સંરક્ષણ વિભાગના મહાનિર્દેશક રશ્મિ શુક્લાને ફેબ્રુઆરી 2021 માં કેન્દ્રમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.રાજ્ય સરકારે છ મહિના પહેલા સિવિલ ડિફેન્સ વિભાગમાં તેમની બદલી કરી હતી. જો કે, પ્રમાણમાં ઓછા મહત્વની પોસ્ટિંગને કારણે તેમણે 2024 સુધીમાં નિવૃત્તિ સુધી ડેપ્યુટેશન પર જવાનું નક્કી કર્યું. દેવેન્દ્ર ફડણવીસ સરકાર દરમિયાન રશ્મિ શુક્લાને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પુણે કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ મહાવિકાસ આઘાડીના સમયગાળા દરમિયાન તેમને પ્રમાણમાં ઓછું મહત્વનું પદ આપવામાં આવ્યું હતું. પુણે પોલીસ કમિશનર બન્યા પહેલા રશ્મિ શુક્લા શુક્લા રાજ્ય ગુપ્તચર વિભાગના કમિશનર હતા.
દેવેન્દ્ર ફડણવીસે કર્યો વધુ એક દાવો મહારાષ્ટ્રમાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વધુ એક દાવો કરતાં કહ્યું કે તત્કાલીન પોલીસ મહાનિદેશક સુબોધકુમાર જયસ્વાલે પણ સરકારને એક ખળભળાટ મચાવી દેનારો અહેવાલ સુપરત કર્યો હતો. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવિસે આરોપ લગાવ્યો કે સરકારે આ અહેવાલને છુપાવી દીધો છે.