Antilia Case : પરમબીરસિંઘે કર્યો બીજો ધડાકો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી CBI તપાસની માંગ
Antilia Case : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખડાવ્યો છે અને સમગ્ર કેસની CBI તપાસની માંગ કરી છે.
Antilia Case : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચડાવ સતત વધી રહ્યા છે. ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ વિરોધી પક્ષો મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના રાજીનામાની માંગ પર અડગ છે. આ તમામ ઘટના વચ્ચે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે.
પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પૂર્વ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગ કરી છે. પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે પૂરાવાઓનો નાશ કરી દેવામાં આવે એ પહેલા અનિલ દેશમુખ ઉપર ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપો અંગે તુરંત સીબીઆઈ તપાસ શરૂ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી પરમબીર સિંહની તરફેણ રજૂ કરશે.
અનિલ દેશમુખના ઘરના CCTVની તપાસની કરી માંગ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે હોમગાર્ડ વિભાગમાં બદલી કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પિટિશનમાં સીબીઆઈ દ્વારા તમામ આરોપોની તપાસ કરવાની માંગ સાથે અનિલ દેશમુખના ઘરની બહારના CCTV ફૂટેજ કબજે કરી તેની તપાસ કરાવવાની પણ માંગ કરી છે જેથી તમામ તથ્યો સામે આવી શકે.
દેશમુખ તેમના ઘરે મિટિંગો રાખતા હતા : પરમબીર પરમબીરસિંઘે અરજીમાં જણાવાયું છે કે અનિલ દેશમુખે ફેબ્રુઆરી મહિનામાં પોતાના નિવાસ સ્થાને અનેક બેઠકો કરી હતી. મુંબઈ ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટના ઇન્સ્પેક્ટર સચિન વાઝે અને મુંબઇ સોશ્યલ સર્વિસ બ્રાંચના એસીપી સંજય પાટિલે પોતાના સિનિયરોને બાયપાસ કરીને તે બેઠકોમાં ભાગ લીધો હતો.
અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો આરોપ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કાર મળવાના મામલામાં હટાવવામાં આવેલા મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંઘે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અનિલ દેશમુખે અગાઉ આ દાવાઓને ખોટા ગણાવ્યા અને પરમબીરસિંઘ પર માનહાનિનો દાવો કર્યો હોવાનું જણાવ્યું છે. પરમબીરસિંઘના આરોપો બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે સંસદ ભવનમાં આ મુદ્દાના પડઘા પડ્યા હતા.