મહારાષ્ટ્રમાં પત્રોનો ખેલ: અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ
પરમબીરસિંહના લેટર બોમ્બ બાદ હવે અનિલ દેશમુખે પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાના પર લાગેલા આરોપ અંગે પોતાની તપાસની માંગ કરી છે.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પોતાના પર લાગેલા આક્ષેપોને લઈને હવે આગળ આવ્યા છે. દેશમુખે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પોતાની તપાસની માંગ કરી છે. પરમબીરસિંહ દ્વારા લખેલા પત્રમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ અંગે અનિલ દેશમુખે આ પત્ર લખ્યો છે. આ ઉપરાંત તપાસ અંગેનો આ પત્ર તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. અનિલ દેશમુખે મરાઠીમાં ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘મેં મુખ્ય પ્રધાન પાસે માંગ કરી છે કે તેઓએ પરમબીરસિંહે મારા ઉપર લગાવેલા આરોપોની તપાસ કરવી જોઈએ જેથી સત્ય બહાર આવે.’ તેમણે કહ્યું કે “જો મુખ્યમંત્રી તપાસના આદેશ આપે તો હું તેનું સ્વાગત કરીશ. સત્યમેવ જયતે.”
અનિલ દેશમુખ પર 100 કરોડની ઉઘરાણીનો ટાર્ગેટ આપવાનો આરોપ
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને અનિલ દેશમુખ ઉપર ગેરવસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે “દેશમુખે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને મહિનામાં 100 કરોડની વસૂલાત કરવાનોનો લક્ષ્યાંક આપ્યો છે.” તેમના આ આક્ષેપો બાદ ઘણો વિવાદ ફાટી નીકળ્યો હતો અને વિરોધી પક્ષે આક્રમણ સવાલો કર્યા હતા. વિરોધ પક્ષ દ્વારા અનિલ દેશમુખના રાજીનામાની માંગ થઇ રહી રહ્યું છે. આટલું જ નહીં બુધવારે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને પણ મળ્યું હતું અને રાજ્યની પરિસ્થિતિનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલવાની માંગ કરી હતી.
मी माननीय मुख्यमंत्री महोदय यांना परमबीर सिंग यांनी माझ्यावर जे आरोप केलेत त्याबद्दल चौकशी लावून, "दूध का दूध, पानी का पानी" करावे अशी मागणी केली होती. माननीय मुख्यमंत्री महोदयांनी याची चौकशी लावली तर, मी त्याचे स्वागत करीन.सत्यमेव जयते… pic.twitter.com/f2oJjFhO8A
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) March 24, 2021
રાજ્યપાલને કેસોમાં દખલ દેવા માટેની અપીલ
શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ સરકારને સત્તામાં બન્યા રહેવાનો કોઈ અધિકાર નથી. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મળ્યા બાદ કહ્યું હતું કે, ‘અમે રાજ્યપાલને કોરોના વાયરસ સંકટ અને અન્ય મુદ્દાઓ અંગેના અહેવાલ માટે મુખ્ય પ્રધાનને બોલાવવા વિનંતી કરી છે. અમે તેમને ભ્રષ્ટાચારના કેસોમાં પણ તેમના દ્વારા દખલ કરવા માટેની અપીલ કરી છે. તેમજ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે તેઓ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થાય. આ અગાઉ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા અને ગૃહ સચિવને મળ્યા હતા. તેમજ રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત રેકેટ વિશે માહિતી આપી હતી.
સુપ્રીમે કહ્યું આરોપો ગંભીર
પરમબીરસિંહે પણ લેટર બોમ્બ બાદ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતી વખતે સુપ્રીમે તેમને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. આ સાથે જ તેમની અરજી વિશે સુપ્રીમે કહ્યું હતું કે અરજીમાં લગાવેલા આરોપો અત્યંત ગંભીર છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહની અરજી ફગાવી, કહ્યું – તમે પહેલા હાઈકોર્ટમાં કેમ ના ગયા