Maharashtra: અનિલ દેશમુખને ED એ ચોથી વખત પાઠવ્યું સમન્સ, 16 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરી હતી.
મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી ચાલું કરી હતી અને તેમને 16 નવેમ્બર સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
ED એ દેશમુખ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી કે, સમન્સ પાઠવ્યા હોવા છતાં તેઓ એજન્સી સમક્ષ હાજર થયા નથી. ED એ કહ્યું હતું કે દેશમુખને ચાર જૂનથી અલગ અલગ પ્રસંગોએ સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ વિવિધ કારણો આપીને હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા.
100 કરોડની વસૂલાતના કેસમાં તપાસ ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે મની લોન્ડરિંગમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED ની તપાસ હેઠળ છે. ED તેમની સામે 100 કરોડની વસૂલાત મામલે કેસ નોંધાવીને તપાસ કરી રહી છે. ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને ઓછામાં ઓછા ચાર વખત પૂછપરછ માટે બોલાવ્યા છે, જેના માટે તેમને સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે.
ED ના સમન્સ સામે હાઇકોર્ટમાં કરાઈ હતી અરજી
અનેક સમન્સ પાઠવ્યા બાદ પણ અનિલ દેશમુખ હજુ સુધી એજન્સી સમક્ષ હાજર થઈ શક્યા નથી. જો કે, તેના વકીલો આ મામલે ઇડી ઓફિસ પહોંચ્યા છે અને તેના હાજર ન થવાના કારણો પણ જણાવ્યા છે. અનિલ દેશમુખે ઇડી દ્વારા જાહેર કરાયેલા સમન્સ સામે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી કેન્દ્રીય એજન્સીએ અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પલાંડેની ધરપકડ કરી છે.
સાંસદ ભાવના ગવલીને પણ બોલાવવામાં આવ્યા છે
શિવસેનાના નેતા અને સાંસદ ભાવના ગવલીને મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને સોમવાર, 4 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ઇડી ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. ભાવના ગવલી મહારાષ્ટ્રની યવતમાલ-વાશિમ બેઠક પરથી લોકસભાના સભ્ય છે.