Agnipath Protest: હવે મહારાષ્ટ્રમાં પણ પહોચ્યો વિરોધનો જુવાળ, અગ્નિપથ યોજનાના વિરોધમાં મુંબઈ, માલેગાંવ અને બીડ જિલ્લામાં થયા દેખાવો
માલેગાંવના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર, યુવાનોએ અગ્નિપથ યોજના વિરુદ્ધ (Agnipath Protest) સૂત્રોચ્ચાર કર્યા અને તેને તાત્કાલિક રદ કરવાની માગ કરી. બીડમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને SFI દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme) સામે દેશના ઘણા રાજ્યોમાં યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં હવે મહારાષ્ટ્રના યુવાનો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. સેનામાં માત્ર ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે તો જે યુવાનો ભારતીય સેનામાં જવા માટે સખત મહેનત કરે છે તેઓને ચાર વર્ષ માટે નોકરીમાંથી છૂટા કરકવામાં આવશે તો તેઓ શું કરશે ? આવા પ્રશ્નોને લઈને યુવાનોમાં ચિંતા જોવા મળી રહી છે. શનિવારે મહારાષ્ટ્રના માલેગાંવમાં તાલુકા ઓફિસની બહાર યુવાનોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. માલેગાંવ ઉપરાંત બીડમાં પણ આ યોજના સામે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા.
મુંબઈમાં પણ ઝીશાન સિદ્દીકીના નેતૃત્વમાં યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને અગ્નિપથ યોજના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ નિવેદન આપ્યું છે કે આ યોજનાનું નામ અગ્નિપથ રાખવામાં આવ્યું છે કારણ કે આ યોજના દ્વારા યુવાનોને આગમાં ધકેલવાનું કામ કરવામાં આવ્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે ગુલામોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે, શિસ્તબદ્ધ સેનાને નહીં. તેમણે કહ્યું કે આ યોજનાના અમલ બાદ ભારતીય સેનાની પ્રતિષ્ઠા પાતાળમાં જશે. શરદ પવારની પાર્ટી એનસીપીએ પણ આ યોજના સામે વાંધો વ્યક્ત કર્યો છે અને યોજના પાછી ખેંચવાની માગ કરી છે.
કેન્દ્ર દ્વારા અગ્નિપથ યોજના તાત્કાલિક પાછી ખેંચવામાં આવે
શનિવારે, યુવાનો માલેગાંવના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર એકઠા થયા હતા અને અગ્નિપથ યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેને તાત્કાલિક રદ કરવા અને પહેલાની જેમ લશ્કરી ભરતી શરૂ કરવાની માગ કરી હતી. યુવાનોએ અધિક પોલીસ અધિક્ષકને તેમની લેખિત માંગણીઓ રજૂ કરી હતી. આ દરમિયાન તાલુકામાંથી લશ્કરી ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એ જ રીતે, બીડમાં, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઈન્ડિયા અને સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા નામના સંગઠનો વતી જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંગઠનોએ અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપી હતી.