EDની કસ્ટડી બાદ અનિલ દેશમુખ પર CBI ટૂંક સમયમાં જ કાર્યવાહી કરશે! “કેશ ફોર ટ્રાન્સફર” કેસમાં કરી શકે છે પૂછપરછ
મહારાષ્ટ્રમાં ઘણા પોલીસ અધિકારીઓની રોકડના બદલામાં અનુકૂળ પોસ્ટ પર ટ્રાન્સફર કરવાના કેસમાં અનિલ દેશમુખનું નામ જોડાય રહ્યું છે. દેશમુખ હાલમાં 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં છે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh Case) બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ED (Enforcement Directorate-ED)ની કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન પણ દેશમુખની કસ્ટડી (CBI Custody)ની માંગ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે CBI અનિલ દેશમુખની ‘કેશ ફોર ટ્રાન્સફર’ કેસમાં તેમની કથિત ભૂમિકા માટે પૂછપરછ કરવા માંગે છે.
એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં ઘણા પોલીસ અધિકારીઓને રોકડના બદલામાં અનુકૂળ પોસ્ટ પર બદલી કરવામાં આવી હતી. 31 ઑક્ટોબરે સંતોષ શંકર જગતાપ નામના એક કથિત વચેટિયાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી કારણ કે એજન્સીની ટ્રાન્સફર પોસ્ટિંગ (પોલીસ અધિકારીઓની) તપાસ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કેટલાક પોલીસ અને રાજકારણીઓ તેની નજીક છે.
દેશમુખ 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે
મીડિયાના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં હવે સીબીઆઈ પણ અનિલ દેશમુખના જામીનની માંગ કરી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી પૂરી થયા બાદ સીબીઆઈ કોર્ટ પાસેથી પૂર્વ ગૃહમંત્રીની કસ્ટડી માંગશે.
દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અનિલ દેશમુખને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. EDએ દેશમુખની કસ્ટડીની માંગ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો અને અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો.
12 કલાકની પૂછપરછ બાદ 1 નવેમ્બરના રોજ ED દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અનિલ દેશમુખ ગઈકાલ સુધી EDની કસ્ટડીમાં હતા. 6 નવેમ્બર શનિવારના રોજ તેમની ED કસ્ટડી પૂરી થઈ હતી. આથી ઈડીએ તેમને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા.
કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી વધુ 13 દિવસ માટે લંબાવી છે. પરંતુ કોર્ટે તેમને 19 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં ન મોકલીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. EDએ અનિલ દેશમુખની કસ્ટડીની માંગ કરી. બોમ્બે હાઈકોર્ટે EDની માંગણી સ્વીકારીને દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.