મોતથી ઝઝૂમતી બાળકીને લાગશે 16 કરોડનું ઈન્જેકશન, સરકાર અને જનતાએ શું કરી મદદ?
મુંબઈની એક પાંચ મહિનાની બાળકી એક દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે. જેના ઓપરેશનનો ખર્ચો સાંભળીને જ સૌ કોઈના હોશ ઊડી જાય છે.
મુંબઈની એક પાંચ મહિનાની બાળકી એક દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે. જેના ઓપરેશનનો ખર્ચો સાંભળીને જ સૌ કોઈના હોશ ઊડી જાય છે. મુંબઈની સબ-અર્બન હોસ્પિટલમાં પાંચ મહિનાની તિરા કામત વેન્ટીલેટર પર જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમી રહી છે. તિરા કામત SMA Type 1 નામની એક દુર્લભ અને ગંભીર બીમારીથી પીડાય છે. સ્પાઈનલ એસ્ટ્રોફીથી ઠીક થવા માટે થઈને તેને એક ઈન્જેકશનની જરૂર છે, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રોગની સારવારમાં અસરકારક એવા ઈન્જેક્શન અમેરિકાથી મંગાવા પડે છે. આ ઈંજેક્શનની કિંમત 16 કરોડ હોવાનું જણાવાયું છે. તિરા કામતના માતા-પિતા આટલું મોંઘું ઈંજેકશન ખરીદી શક્યા નહોતા. જેથી તેના માતા પિતાએ ક્રાઉડ ફંડિંગનો સહારો લીધો અને સોશિયલ મીડિયા પર એક પેજ બનાવીને લોક ફાળો ઉઘરાવવાનો શરૂ કર્યો અને 14 જાન્યુઆરી સુધીમાં 10 કરોડ જેટલો ફાળો એકત્રિત કરી લીધો હતો, પરંતુ આટલી રકમ પણ તેના ઈન્જેકશન માટે ઓછી પડતી હતી.
બાળકીની સારવારમાં સૌથી મોટી વાત એ હતી કે લગભગ 6.5 કરોડનો ટેક્સ લાદવાનો હતો. જો કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની દખલ સાથે મોદી સરકારે ઈન્જેક્શન પરના તમામ કર (23 ટકા આયાત ડ્યુટી અને 12 ટકા જીએસટી) માફ કરી દીધા, જેની કિંમત લગભગ 6.5 કરોડ છે. હકીકતમાં આ મામલો સામે આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને વિનંતી કરી હતી કે અમેરિકાથી આવતા આ ઈંજેક્શન પરના તમામ કરને મુક્તિ આપવામાં આવે.
મોદી સરકારના આ પગલાને કારણે અને લોકોની સહાયથી હવે બાળકીની સારવાર માટેનો માર્ગ ખુલી ગયો છે. ઈન્જેક્શન ટૂંક સમયમાં યુ.એસ.થી મંગાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જીન (Gene) થેરેપીની મદદથી બાળકની સારવાર કરવામાં આવશે. તેના પર કરવામાં આવેલી શસ્ત્રક્રિયાથી એ જ જીનને પાછો લાવશે કે જે તેના જન્મ દરમિયાન ગુમ થઈ ગયું હતું. બાળકના માતા-પિતાના જણાવ્યા અનુસાર, તિરા જન્મ સમયે તંદુરસ્ત હતી, પરંતુ ધીરે ધીરે તેની તબિયત પાછળથી ખરાબ થવા લાગી.
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી પ્રકાર -1 એક દુર્લભ રોગ છે. જે બાળકો કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ટાઈપ-1થી પીડિત હોય છે, તેમના શરીરમાં પાણીની કમી હોય છે અને તેમને સ્તનપાન અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ રોગમાં, બાળક સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે.
આ પણ વાંચો: Gir Somnath: ભરશિયાળે ખેતરો લીલા-લીલા તરબૂચથી છલકાઈ ગયા