Corona: દેશની રાજધાની દિલ્હીમાં પ્રવેશવા આ પાંચ રાજ્યના લોકોએ બતાવવો પડશે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ
દેશભરમાં હવે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં એન્ટ્રી લેવા માટે કોરોના નેગેટીવ રીપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. આ નિયમ દેશના પાંચ રાજ્યો માટે લાગુ કરવામાં આવ્યો છે.
દેશના 5 રાજ્યોથી દિલ્હી આવતા લોકોને રાજધાનીમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટનો નેગેટીવ રીપોર્ટ ફરજીયાત બતાવવો પડશે. આ નિયમ મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગ અને કેરળથી આવતા લોકો માટે લાગુ કરવામાં આવ્યો છે. નિયમ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લાગુ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમ શુક્રવારથી અમલમાં આવશે અને આ અંગેનો સત્તાવાર આદેશ બુધવારે સાંજ સુધીમાં થઇ શકે છે. મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ જેવા રાજ્યોથી આવતા લોકોને આ દરમિયાન આરટી-પીસીઆર રીપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે. છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કુલ કોરોના કેસમાંથી 86% કેસ આ રાજ્યોમાંથી આવ્યાના અહેવાલ છે.
એટલું જ નહીં કેરળ અને મહારાષ્ટ્રમાં સામે આવેલા નવા સ્ટ્રેનના કારણે ખળભળાટ મચી ગયો છે. કર્ણાટક અને ગુજરાત જેવા પાડોશી રાજ્યો દ્વારા મુસાફરી પર પ્રતિબંધ પહેલાથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અમરાવતી, નાગપુર જેવા વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે. આ વિસ્તારમાં 11 જિલ્લાઓ છે મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓના વહીવટી તંત્રે પણ વિદર્ભથી આવતા લોકોની કડક તપાસ કરવાનું શરુ કરી દીધું છે.
વિદર્ભમાં કુલ 11 જિલ્લાઓ છે, જેમાંથી 5 અમરાવતી વિભાગ હેઠળ આવે છે. નાગપુર વિભાગમાં 6 જિલ્લાઓ છે. આ ઉપરાંત પરભણી જિલ્લા વહીવટીતંત્રે વિદર્ભના 11 જિલ્લાના લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સાઈ બાબા મંદિરને પણ સાવચેતી રૂપે બંધ કરાયું છે. કોરોના ફરી એકવાર માથું ઊંચકતો હોવાથી દેશભરમાં તંત્ર સજાગ થયું છે. દરમિયાન હરિદ્વારમાં યોજાનારા કુંભમાં તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના વેક્સિનેશનની તૈયારી કરી રહ્યા છે. કુંભ મેળામાં કોરોના પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
Travellers from Maharashtra, Kerala, Chhattisgarh, Madhya Pradesh and Punjab will need a negative coronavirus test report to enter #Delhi from 26th February till 15th March
— ANI (@ANI) February 24, 2021
જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કહ્યું હતું કે રાજ્યમાં આગામી 8 દિવસ મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે. જો આ પ્રકારે કેસ વધતા રહ્યા તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન થઇ શકે છે. સામાન્ય લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.