ભારતમાં કોરોનાની સુનામી લાવનાર ડબલ મ્યુટન્ટ વાયરસ શુ છે ?
ભારતમાં જોવા મળેલા ડબલ મ્યુટન્ટ ( Double mutant ) વાયરસને પગલે વિશ્વના અનેક દેશોએ, ભારતીયોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદયો છે. તો કેટલાય એવા દેશ છે જેમણે તેમના નાગરિકોને ભારતનો પ્રવાસ કરવાનુ ટાળવા સલાહ આપી છે.
ભારતમાં બેકાબુ બનેલા કોરોના માટે ડબલ મ્યુટન્ટ ( Double mutant ) વાયરસને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં આ નવા વોરિયન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બ્રિટેન સહીત વિશ્વના અનેક દેશોએ, ડબલ મ્યુટન્ટ વાયરસના કારણે ભારતને રેડઝોનમાં મૂક્યુ છે. જેના કારણે હવે ભારતીયોને તે દેશમાં પ્રવેશ ઉપર પાબંધી ફરમાવી છે. ભારતમાં જોવા મળેલ ડબલ મ્યુટન્ટ પ્રકારનો વાયરસ વિશ્વના 10 દેશમાં જોવા મળ્યો છે.
ડબલ મ્યુટન્ટ વાયરસ શું છે? આ પ્રકારના વાયરસને વૈજ્ઞાનિક રૂપે B.1.617 નામ આપવામાં આવ્યું છે, જેમાં બે પ્રકારનાં મ્યુટેશંસ છે – E484Q અને L452R મ્યુટેશંસ. સરળ ભાષામાં કહીએ તો, આ વાયરસનો એવો એક પ્રકાર છે, જેનો જીનોમ બે વાર બદલાઈ ગયો છે. જો કે, વાયરસના જિનોમિક પ્રકારોમાં ફેરફાર થવો એ સામાન્ય છે. લાંબા સમય સુધી વાયરસ પોતાને અસરકારક રાખવા માટે તેમના આનુવંશિક બંધારણને સતત બદલતા રહે છે. જેથી તેમનો નાશ ન થઈ શકે. ડબલ મ્યુટન્ટ ત્યારે થાય છે જ્યારે એ જ વાયરસના બે મ્યુટન્ટ મળી આવે છે અને ત્રીજો સ્ટ્રેન રચાય છે. ભારતમાં મળી આવેલા ડબલ મ્યુટન્ટ વાયરસ E484Q અને L452R એ પ્રકારના વાયરસની અસરોથી બનેલા છે. L452R સ્ટ્રેન અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળે છે અને E484Q સ્ટ્રેન સ્વદેશી છે.
ડબલ મ્યુટન્ટનો પ્રથમ કેસ મહારાષ્ટ્રમાં દેશના ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ડબલ મ્યુટન્ટ વાયરસની ઓળખ કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ડબલ પરિવર્તન મહારાષ્ટ્રથી શરૂ થયું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશનો એવા રાજ્યોમાં સમાવેશ થાય છે, જ્યાં ડબલ મ્યુટન્ટ્સવાળા વાયરસ મળી આવ્યા છે. આ મ્યુટન્ટ્સ COVID-19 કેસોમાં ઝડપથી વધારો કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે.
કેમ ખતરનાક છે આ વાયરસ ? નવા મ્યુટેશન બે મ્યુટેશંસના જીનેટીક કોડ (E484Q અને L452R) માંથી છે. જ્યારે આ બંને મ્યુટેશંસના સંક્રમણનો દર વધુ છે. આ પહેલીવાર છે કે બંને મ્યુટેશન સાથે જોડાઈ ગયા હોવાથી તે વધુ ધાતક બન્યો છે. જેના કારણે આ વાયરસ અનેક ગણો વધુ ચેપી અને ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
ડબલ મ્યુટન્ટ વાયરસ સામેની રસી કેટલી અસરકારક છે? ભારતમાં ઉપલબ્ધ કોરોના વેક્સિન, આ મ્યુટન્ટ સામે અસરકારક છે કે નહી તે તપાસનો વિષય છે. નવા મ્યુટન્ટ સામે વર્તમાન રસી કેટલી અસરકારક છે તેની તપાસ થઈ રહી છે. હાલ તો એવુ મનાઈ રહ્યુ છે કે, કોવાક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન આ નવા મ્યુટન્ટ સામે અસરકારક છે.
શરીરમાં વાયરલ ભાર વધે છે મ્યુટેશન પછી ઘણી વખત, વાયરસ પહેલા કરતાં નબળો પડી જાય છે. પરંતુ કેટલીકવાર મ્યુટેશનની આ પ્રક્રિયા વાયરસને એકદમ ખતરનાક બનાવે છે. આવી સ્થિતિમાં, જો વાયરસ આપણા શરીરના કોઈપણ કોષ પર હુમલો કરે છે, તો સેલ થોડા કલાકોમાં વાયરસની હજારો નકલો બનાવે છે. આનાથી શરીરમાં વાયરસનું ભારણ ઝડપથી વધે છે અને દર્દી ટૂંક સમયમાં રોગના નિર્ણાયક તબક્કે પહોંચે છે.