સુરત: ગરીબોને સપનાનાં પ્લોટ કાગળ પર બતાવી ત્રિપુટીએ કર્યું કરોડોનું કૌભાંડ, પોલીસ કમિશનરને કરાઈ ફરિયાદ
સુરતમાં અથવા સુરતની બહાર જો તમને કોઈ પ્લોટ કે જમીન આપવાના સપના બતાવે તો દસ વાર વિચાર કરજો, કારણ કે સુરતમાં સક્રિય થઈ છે એવી ટોળકી કે જેની છેતરપિંડીનો અસંખ્ય લોકો ભોગ બન્યા છે. આ ટોળકીએ છેલ્લા વર્ષોમાં અસંખ્ય લોકોને સપનાના ઘર આપવાનો વાયદો આપી લાખો રૂપિયા ખંખેરી લીધા છે. કંપનીનું નામ છે સનરાઈઝ ગ્રુપ […]
સુરતમાં અથવા સુરતની બહાર જો તમને કોઈ પ્લોટ કે જમીન આપવાના સપના બતાવે તો દસ વાર વિચાર કરજો, કારણ કે સુરતમાં સક્રિય થઈ છે એવી ટોળકી કે જેની છેતરપિંડીનો અસંખ્ય લોકો ભોગ બન્યા છે. આ ટોળકીએ છેલ્લા વર્ષોમાં અસંખ્ય લોકોને સપનાના ઘર આપવાનો વાયદો આપી લાખો રૂપિયા ખંખેરી લીધા છે. કંપનીનું નામ છે સનરાઈઝ ગ્રુપ ઓફ કંપની. જેને ચલાવી રહ્યા છે સિંહ બંધુઓ અને એની ટોળકી. તેઓ પર આરોપ છે ગરીબો સાથે છેતરપિંડીનો. આ ટોળકીની મુખ્ય ભૂમિકામાં છે અજિત સિંહ, યોગેશ સિંહ અને અનિલ પાટીલ. આ ત્રિપુટી રોજનું કમાવીને રોજનું રોજનું ખાતા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનો સંપર્ક કરીને તેમને સુરતના નવા સમાવિષ્ટ વિસ્તાર સચિન, પાલિગામ જેવા એરિયામાં પહેલાં તો પ્લોટની જગ્યા બતાવે, નજીવી કિંમતમાં આ પ્લોટ કેટલો સસ્તો પડશે તેવી લોભામણી વાતોમાં લાવીને તેમને આ પ્લોટ ખરીદવા પર મજબૂર કરે. વાસ્તવમાં આ પ્લોટ ફક્ત કાગળ પર જ હોય છે, હકીકતમાં તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગરીબોએ મહેનતથી કરેલી કમાણીના હપ્તા જ્યારે આ સપનાના પ્લોટ માટે પુરા થઈ જાય. ત્યારે તેઓ હાથ ઊંચા કરી દે છે અને લોકોને ગોળગોળ જવાબો આપવાનું શરૂ કરી દે છે. જો કોઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરે તો ડુપ્લીકેટ દસ્તાવેજ સાથેના બીજા પ્લોટ પધરાવી દે છે. તેમની આ મેલી દાનતથી જ અંદાજો લગાવી શકાય છે કે અત્યારસુધી તેમણે ગરીબો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હશે.આજે આ ત્રિપુટી વિરુદ્ધ અસરગ્રસ્તોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને કડક હાથે કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવા માંગ કરી છે.
ભોગ બનનાર ગરીબ પરિવારોને સ્થાનિક ડીંડોલી અને ઉધના પોલીસ પર ભરોસો એટલે પણ નથી રહ્યો કે તેઓએ જાતે જ આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હોવા છતાં કોઈપણ કાર્યવાહી કર્યા વગર સાંઠગાંઠથી તેને છોડી મુકવામાં આવ્યો હતો અને આ માટે હવે તેઓ પોલીસ કમિશનરના શરણે આવ્યા છે. તેમની માંગ છે કે આ કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે અને જે ગરીબોના રૂપિયા આ કૌભાંડ અને છેતરપિંડીમાં ડૂબ્યા છે તેમને પાછા અપાવીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો