Surat : સીટી બસમાં ટીકીટ કૌભાંડમાં શંકાના દાયરામાં આવેલી એજન્સી હવે સુમન હાઈસ્કૂલોમાં શિક્ષકો સપ્લાય કરશે, સ્થાયી સમિતિમાં કામ મંજુર
સુરત (Surat) કોર્પોરેશને જુન-2021માં 13 જેટલી સુમન શાળાઓમાં ધો-11 કોમર્સ, સાયન્સ, આર્ટ્સના નવા 25 વર્ગો શરુ કરવામાં આવ્યા હોવાથી સ્થાયી સમિતિ આકાર એચઆર મેનેજમેન્ટને સુમન હાઇસ્કૂલ ખાતે શૈક્ષણિક કાર્ય કરાવવા માટે એક શિક્ષક દિઠ માસિક 16,000 રૂપિયા લેખે 11 માસ માટે 50 શિક્ષકો ફાળવવાની કામગીરી સોંપી હતી.
સુરત(Surat) સિટી બસોમાં ડ્રાઇવર-કંડક્ટરો, લાઇબ્રેરીમાં મેનપાવર સપ્લાય તથા મનપામાં કોમ્યુટર ઓપરેટરો પૂરા પાડનાર એચઆર એજન્સી આકાર એચઆર મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ હવે એક પગલું આગળ વધીને મનપા સંચાલિત સુમન હાઇસ્કૂલોમાં(Suman Highschool) કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષકો(Teachers) ફાળવવાની શરૂઆત કરી છે. જે બાબતનું કામ આજે સ્થાયી સમિતિએ મંજુર કર્યું છે. સાગમટે જુન-2021માં 13 જેટલી સુમન શાળાઓમાં ધો-11 કોમર્સ, સાયન્સ, આર્ટ્સના નવા 25 વર્ગો શરુ કરવામાં આવ્યા હોવાથી સ્થાયી સમિતિ આકાર એચઆર મેનેજમેન્ટને સુમન હાઇસ્કૂલ ખાતે શૈક્ષણિક કાર્ય કરાવવા માટે એક શિક્ષક દિઠ માસિક 16,000 રૂપિયા લેખે 11 માસ માટે 50 શિક્ષકો ફાળવવાની કામગીરી સોંપી હતી. જેની મુદત જુન-2022 પૂર્ણ થઇ રહી છે.
ત્રણ લેબ કો-ઓર્ડિનેટર મળી કુલ 111 શિક્ષકોની જરૂરિયાત ઊભી થઇ
હવે જૂન-2022થી શરુ થનાર શૈક્ષણિક વર્ષ માટે ધો-11 અને 12ના કોમર્સ, આસ, સાયન્સના એક વર્ગ દિઠ બે શિક્ષકના રેશિયો પ્રમાણે 54 વર્ગના 108 જેટલા જુદાં- જુદાં વિષયોના શિક્ષકો તથા વિજ્ઞાન પ્રવાહની પ્રયોગશાળા માટે ત્રણ લેબ કો-ઓર્ડિનેટર મળી કુલ 111 શિક્ષકોની જરૂરિયાત ઊભી થઇ છે. આ તમામ શિક્ષકો પણ કોન્ટ્રાક્ટ ધોરણે મેસર્સ આકાર એચઆર મેનેજમેન્ટ પ્રા. લિ. ને જ સોંપવા માટેની ભલામણ સુમન હાઇસ્કૂલ સેલ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, પ્રથમ વર્ષે જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેના માસિક દરમાં 10 ટકા લેખે વધારો આપવાની ભલામણ પણ કરી છે. વિભાગની ભલામણ મુજબ 2022-23માં ઇજારદારની કામગીરી સંતોષકારક જણાય તો ઇજારો વધુ ત્રણ વર્ષ સુધી લંબાવવા અને પ્રત્યેક વર્ષે અગાઉના વર્ષના માસિકદરમાં 10 ટકાનો વધારી આપવાનું સૂચન કર્યું છે.
કોન્ટ્રાક્ટ બેઝના મેનપાવર સપ્લાય કરનાર એજન્સી હવે શાળાઓમાં શિક્ષકો સપ્લાય કરી રહી છે
સુરત મનપામાં કોંપ્યુટર ઓપરેટર સહિતના કોન્ટ્રાક્ટ બેઝના મેનપાવર સપ્લાય કરનાર એજન્સી હવે શાળાઓમાં શિક્ષકો સપ્લાય કરી રહી છે. જે આશ્ચર્યજનક બાબત ગણી શકાય. કારણ કે આ એજન્સી દ્વારા મુકાયેલા કંડક્ટરો સીટી બસમાં ટિકિટ આપવાને બદલે બારોબાર ઉઘરાણું કરતા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે હવે શિક્ષણ જેવી સંવેદનશીલ સેવામાં આ જ એજન્સી દ્વારા શિક્ષકો મૂકવામાં આવે તો તેમાં કેટલી હદે પ્રામાણિકતા જળવાશે તેવો સવાલ ઊઠી રહ્યો છે.