ભારતમાં ચિત્તાઓની વધશે સંખ્યા, વધુ 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારત લવાશે
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વધુ 12 ચિત્તાના સ્થાનાંતરણને મંજૂરી આપી છે અને અંતિમ એમઓયુને એક સપ્તાહમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.
વધુ ચિત્તા ભારતમાં આવવાના છે. 20 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવાની યોજના છે. આ ચિત્તાઓ ચિતા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ હેઠળ ભારતમાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તાઓ મુક્ત કર્યાં હતા. ‘એક્શન પ્લાન ફોર રીઇન્ટ્રોડક્શન ઓફ ચિતા ઇન ઇન્ડિયા’ રિપોર્ટમાં દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને અન્ય આફ્રિકન દેશોમાંથી 12 થી 14 ચિત્તાઓને ભારતમાં લાવવાની યોજના રજૂ કરવામાં આવી હતી.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન જણાવે છે કે આ પુનઃપ્રવેશનો હેતુ ભારતમાં ચિત્તાની વસ્તી વધારવાનો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વધુ 12 ચિત્તાના સ્થાનાંતરણને મંજૂરી આપી દીધી છે. આગામી એક અઠવાડિયામાં અંતિમ એમઓયુને ફાઈનલ થવાની આશા છે.
13 જાન્યુઆરીએ અધિકારીઓ જશે આફ્રિકા
અહેવાલમાં એક સત્તાવાર સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય વન મહાનિદેશક ચંદ્ર પ્રકાશ ગોયલ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણના સચિવ એસપી યાદવ અને કેટલાક અન્ય અધિકારીઓ 13 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા માટે દિલ્હીથી રવાના થશે, જેઓ ચિતા સાથે પરત ફરશે.
સરકાર આ પ્રોજેક્ટ માટે કરે છે કરોડોનો ખર્ચ
અહેવાલો અનુસાર, સરકારે ચિતા રિટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ માટે રૂ. 38.7 કરોડ ફાળવ્યા છે. જે પ્રોજેક્ટ માટે પાંચ વર્ષનું બજેટ છે. અગાઉ, સરકારે રૂ. 29.47 કરોડ ફાળવ્યા હતા. જેનો ઉપયોગ સંચાલન અને જાળવણી માટે થવાનો છે. ભારતમાં ચિત્તાનું પુનઃપ્રવેશ એ સરકારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. 1952 માં, ભારત સરકારે ચિત્તાને લુપ્ત જાહેર કર્યું હતું અને હવે 70 વર્ષ બાદ ચિત્તાએ ભારતમાં પુનરાગમન કર્યું છે.