Maharashtra Corona Guidelines: લગ્ન, અંતિમ યાત્રા, હોટલ, મલ્ટીપ્લેક્સ અને રાજકીય કાર્યક્રમો માટે લેવાયો મોટા નિર્ણય
Maharashtra corona Latest Updates: કોરોનાના વધતા કેસ જોઇને મહારાષ્ટ્ર સરકારે મોટા નિર્ણયો લીધા છે. જેમાં લગ્નમાં ભેગા થવા પર પણ અમુક સંખ્યા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લવાયો છે.
વધતા કોરોના કેસોએ ફરી એકવાર સમગ્ર દેશને ડરાવવાનું શરૂ કર્યું છે. ચેપગ્રસ્ત દર્દીઓના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં, જ્યાં નાગપુરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યાં પુણે અને અમરાવતીમાં નાઇટ કર્ફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. આ દરમિયાન સોમવારે મહારાષ્ટ્ર સરકારે કોરોના નિવારણ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે તમામ મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરેન્ટ અને હોટલ ફક્ત 50 ટકાની ક્ષમતા સાથે ખોલવામાં આવશે. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરને અનુસરવા તમામ મોલમાં વધુ સ્ટાફ તૈનાત કરવો પડશે.
તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ
નવા દિશાનિર્દેશોમાં મહારાષ્ટ્ર સરકારે કન્ટેન્ટ ઝોનમાં લાદવામાં આવેલા તમામ પ્રતિબંધોને 31 માર્ચ સુધી વધારી દીધા છે. તમામ રેસ્ટોરાં, હોટલ અને સિનેમા હોલમાં માસ્ક પહેરવા, તાપમાન ચેક કરવા અને હાથ સેનેટાઈઝ કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે.
લગ્નમાં માત્ર 50 મહેમાન
આ સિવાય લગ્ન સમારોહમાં અતિથિઓની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. લગ્નમાં 50 થી વધુ અતિથિઓ શામેલ ન થઇ શકે.
અંતિમયાત્રામાં 20 લોકો
બધી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક વિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. માર્ગદર્શિકા મુજબ, 20 થી વધુ લોકોને અંતિમ યાત્રામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
લોકડાઉનની સંભાવના નહીવત
આ વચ્ચે રાજેશ ટોપેએ કહ્યું કે કોરોના વધી રહ્યો છે પરંતુ ફરી લોકડાઉન લાવવું એ ઉપાય નહીં. પરંતુ નિયમો કડક કરવામાં આવે. તેમણે જણાવ્યું કે કેસ ઘણા વધ્યા છે પરંતુ મૃત્યુ આંક ઓછો છે.