કન્હૈયા લાલના બંને પુત્રોને મળી નોકરી, પિતાની તસવીરને નમન કરીને નવી ઈનિંગની શરૂઆત, કહ્યું હત્યારાઓને ફાંસી થવી જોઈએ
Udaipur Murder: તરુણ સાહુએ રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલી નોકરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યુ છે કે તેમના પિતાના હત્યા કેસમાં NIA દ્વારા ચાલી રહેલી તપાસથી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ છે. બસ ગુનેગારોને વહેલી તકે ફાંસીની સજા મળે તેની રાહ જોવાઈ રહી છે.
28 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલ સાહુની હત્યા (Udaipur Murder) બાદ રાજસ્થાનની અશોક ગેહલોત (Ashok Gehlot) સરકારે પરિવાર પ્રત્યે સંવેદનશીલતા દાખવતા બંને પુત્રોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. કન્હૈયાલાલ (Kanhaiya Lal)ની નિર્મમ હત્યા બાદ તેમના બંને પુત્રોએ 22 જુલાઈએ એટલે કે આજે સવારે જુનિયર આસિસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસરના પદ પર નિયુક્ત કરાયા છે. કન્હૈયાના મોટા પુત્ર તરુણને જુનિયર આસિસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસર (શહેર) અને નાના પુત્ર યશ સાહુને જુનિયર આસિસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસર (ગ્રામીણ)માં પોસ્ટિંગ મળી છે.
તરુણે જણાવ્યું કે આજે સવારે સૌ પ્રથમ પિતાની તસવીર સામે માથું નમાવી આશીર્વાદ લીધા અને ત્યારબાદ માતાએ તેને ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની સલાહ આપતા નોકરી માટે આશિર્વાદ આપ્યા હતા. માતા-પિતાના આશીર્વાદ લઈ બંને પુત્રોએ નોકરી પર હાજર થયા હતા.
નોકરી બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો
તરુણ સાહુએ રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલી નોકરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે એ પણ કહ્યું કે પિતાના હત્યા કેસમાં NIA દ્વારા ચાલી રહેલી તપાસથી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ છે. બસ ગુનેગારોને વહેલમાં વહેલી તકે ફાંસીની સજા મળે તેની રાહ જોઈ રહ્યા છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ પીડિત પરિવારને તેમના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમના પુત્રો યશ અને તરુણને સાંત્વના પાઠવી હતી અને કહ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં સરકાર તેમની સાથે છે.
કેબિનેટની બેઠકમાં નોકરી આપવાનો નિર્ણય
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કન્હૈયાલાલના પુત્રોને સરકારી નોકરી અપાવવામાં નિયમોમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રીમંડળની બેઠક બાદ મંત્રી મમતા ભૂપેશે જણાવ્યુ હતુ કે બેઠકમાં ઉદયપુરની આતંકી ઘટનામાં મૃતક કન્હૈયાલાલના પુત્રો યશ અને તરુણની રાજકીય સેવામાં નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નૂપુર શર્મા વિવાદમાં કરાઈ હતી હત્યા
આપને જણાવી દઈએ નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદી નિવેદન બાદ દેશભરમાં વિરોધનું વાતાવરણ ઉભુ થયુ હતુ. જેમા કેટલાક સ્થળોએ હિંસાના બનાવો પણ સામે આવ્યા હતા. તેમા નૂપુર શર્માનુ સમર્થન કરતી પોસ્ટ ફેસબુક પર ભૂલથી પોસ્ટ થઈ જતા ઉદયપુરના દરજીનું કામ કરતા કન્હૈયાલાલની બે નરાધમોએ ગળુ કાપીને નિર્મમ હત્યા કરી નાખી હતી જેના પડઘા દેશભરમાં પડ્યા હતા.