Turkey earthquake : તુર્કી મદદ માટે સામે આવ્યું ભારત, NDRF સહિત મેડિકલ ટીમ પહોચશે તુર્કી
Turkiye Earthquake: તબાહીનો સામનો કરી રહેલા તુર્કીએ આંતરરાષ્ટ્રીય દેશોને મદદ માટે અપીલ કરી છે, ભારતે 100 સભ્યોની NDRF ટીમ, ડોગ સ્ક્વોડ, ડોક્ટરની ટીમ, રાહત સામગ્રીને મદદ માટે તુર્કી મોકલવામાં આવી રહી છે.
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં બચાવ અને રાહતકાર્યમા મદદરૂપ થવા માટે ભારતથી 100 સભ્યોની NDRFની ટીમ તેમજ મેડીકલ ટીમ આધુનિક બચાવ અને તબીબી સાધનો સાથે તુર્કી પહોચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ તુર્કીમાં થયેલા ભૂકંપમાં થયેલા નુકશાન સામે તાત્કાલિક રાહત પગલા અંગે ચર્ચા કરવા માટે સાઉથ બ્લોકમાં બેઠક યોજી હતી.
એનડીઆરએફની બે ટીમો જેમાં ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે, તે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી જશે. આવશ્યક દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાચો: Turkey Earthquake : PM મોદીએ કહ્યું- ભારત તમામ સંભવિત મદદ માટે તૈયાર, અમે તુર્કીના લોકો સાથે
તુર્કી સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તાબુલમાં કોન્સ્યુલેટ જનરલ ઓફિસ સાથે સંકલન કરીને રાહત સામગ્રી મોકલવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, NDMA, NDRF, સંરક્ષણ, MEA, નાગરિક ઉડ્ડયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
6 ફેબ્રુઆરી તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 300થી વધારે લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા આ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, તુર્કીમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.
ભારત તુર્કીના લોકો સાથે છે: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપના કારણે દક્ષિણ પૂર્વ તુર્કી સહિત સીરિયામાં મોટું નુકસાન થયું છે.
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા
ભૂકંપનું કેન્દ્ર તુર્કી ગાડિયાન્ટેપેમાં હતું, જે સીરિયા સરહદથી લગભગ 90 કિલોમીટર દૂર છે. જેના કારણે સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
તુર્કીમાં સવારે 4.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ભૂકંપની ઊંડાઈ જમીનથી 17.9 કિલોમીટર હતી. આ તીવ્ર ભૂકંપના કારણે અનેક ઈમારતો જોતજોતામાં ધરાશાયી થઈ ગઈ હતી અને ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.
લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા હતા
ભૂકંપ વિશે માહિતી આપતાં તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કર્યું કે, પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ ભૂકંપ દરમિયાન લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા હતા. રાષ્ટ્રપતિએ અપીલ કરી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવેશ ન કરો.