આખરે ગુજરાત સરકારની કબુલાત, 52000 દર્દીઓ ઓક્સિજન ઉપર, 108માં આવનારાને જ અપાય છે સરકારી કવોટાના બેડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને 162 ખાનગી પરંતુ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જે કોઈ કોરોનાના ( corona ) દર્દી 108માં સારવાર માટે આવે તેમને જ સરકારી કવોટાના બેડ ફાળવવામાં આવી રહ્યાં છે.
ગુજરાત સરકારે આખરે ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High Court ) સમક્ષ કબુલાત કરી છે કે, ગુજરાતમાં સારવાર લઈ રહેલા કોરોનાના ( corona ) તમામ દર્દીઓ પૈકી 52000 દર્દીઓની ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલ સુઓમોટો રીટ સંદર્ભે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને આ વિગતો જાહેર કરી છે.
ગુજરાત હાઈકોર્ટે, કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર તરફથી કરાયેલ વ્યવસ્થાઓને લઈને સુઓમોટો રીટ દાખલ કરી છે. સુઓમોટો રીટમાં ગુજરાત હાઈકોર્ટે, ઓક્સિજનની અછત, રેમડેસિવીર ઈન્જકેશનની અછત, હોસ્પિટલોમાં બેડની અછત, 108નુ કેન્દ્રીયકરણ વગેરે મુદ્દે સરકારને અનેક સવાલો પુછ્યા હતા. અને કેટલાક નિર્દેશો પણ કર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે કરેલ સવાલો સંદર્ભે ગુજરાત સરકારે કરેલ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે જે કોઈ દર્દીઓ 108માં આવે તેમને જ સરકારી કવોટોના બેડ અંતર્ગત સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને 162 ખાનગી પરંતુ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જે કોઈ દર્દી 108માં સારવાર માટે આવે તેમને જ સરકારી કવોટાના બેડ ફાળવવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં પહેલી એપ્રિલથી 2 એપ્રિલ સુધીના 23 દિવસમા જ 33 લાખ 62 હજાર કોરોનાના ટેસ્ટીગ કરાયા છે. જેમાં 13 લાખ 14 હજાર 262 ટેસ્ટીગ RT-PCR ટેસ્ટ છે. કેન્દ્ર સરકાર પાસે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો માંગ્યો હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યુ છે. હોસ્પિટલની બહાર દર્દીને લઈને ઊભેલી 108 વાનમાં દર્દીની સારવાર તબીબ કરતા હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યુ છે.
ગુજરાત સરકારે કરેલા સોગંદનામા આધારિત ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રીટમાં સુનાવણી હાથ ધરાશે. જેમાં ગુજરાત સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે ગુજરાત હાઈકોર્ટે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સુચવેલા લોકડાઉન અથવા નિયમો વધુ કડક કરવા સંદર્ભે ટકોર છતા, સોગંદનામામાં કોઈ ઉલ્લેખ નથી. ગુજરાત સરકારે પોતાની એફિડેવીટમાં ઈન્જેકશન મળી રહેતા હોવાનુ જણાવ્યુ છે. કોરોનાની સારવાર લેતા દર્દીઓમાંથી 52 હજારથી વધુ દર્દીઓ ઓક્સિજનની જરૂરીયાત વાળા હોવાનું કબુલ્યુ છે. જેને લઈને ઓક્સિજન પ્લાન્ટને લઈને એફિડેવીટમાં સરકારે ઉલ્લેખ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court ) ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ( corona ) ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી કરે છે. આજે પણ સુઓમોટો રીટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.