25 લાખ મતપેટી, 180 ટન કાગળ અને 10 લાખ રૂપિયા…કંઈક આવી હતી 1951માં સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી
Independent India : સ્વતંત્ર ભારતમાં પહેલી ચૂંટણી 1951માં થઈ હતી. આ ચૂંટણીનું આયોજન કરવું સૌથી મોટું પગલુ હતુ અને તેનાથી મોટો પડકાર હતો લોકોને તેના માટે જાગૃત કરવા.
ભારત પોતાનો 75માં આઝાદી દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશની આઝાદીના વર્ષ 1947થી હમણા સુધી દરેક ક્ષેત્રમાં ભારતે પ્રગતિ કરી છે અને કરી રહ્યુ છે. આજે જે આઝાદી મેળવી આપણે પ્રગતિ કરી રહ્યા છે તેમાં દેશના ક્રાંતિકારીઓ અને દેશની આઝાદી માટે શહીદ થનારા લોકોનું મહત્વનું યોગદાન છે. આઝાદી પછી ભારતે પ્રગતિ સાચી દિશામાં કરવી જરુરી હતી, દેશને એક રાખવુ જરુરી હતુ અને તેના માટે જરુરી હતી એક સરકાર અને વડાપ્રધાન અને તેના માટે જરુરી હતી ચૂંટણી. આઝાદ ભારતની (Independent India) પહેલી ચૂંટણી 25 ઓક્ટમ્બર, 1951ના રોજ શરુ થઈ હતી. આ ચૂંટણી કરવા સાથે અનેક પડકારો પણ હતા. ચાલો જાણીએ આઝાદ ભારતની લોકસભાની પહેલી ચૂંટણી (election) વિશે.
ચૂંટણી અંગે જાગૃતતા ફેલાવવા આ વસ્તુનો કરવામાં આવ્યો હતો ઉપયોગ
આઝાદ ભારતની આ પહેલી ચૂંટણી ખુબ મહત્વની હતી. આ ચૂંટણી માટે લોકોને જરુરી માહિતી અને જાગૃતતા આપવી જરુરી હતી. તેના માટે સિનેમા ઘરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે આ માટે એક ફિલ્મ બનાવી હતી. અને આ ફિલ્મ લોકો સિનેમાઘરમાં ફ્રીમાં જોઈ તમામ માહિતી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા રેડિયોના અલગ અલગ કાર્યક્રમો દ્વારા પણ લોકોને આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
25 લાખ મતપેટીઓ અને 180 ટન પેપર
આ ચૂંટણી 25 ઓક્ટોમ્બર, 1951થી 27 માર્ચ, 1952 વચ્ચે ચાલી હતી. દેશની પહેલી લોકસભાની ચૂંટણીમાં મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે દરેક પાર્ટી માટે એક અલગ મતપેટી હતી. હાલ ભારતમાં બેલેટ પેપર અને ઈવીએમ મશીનથી મત આપવામાં આવે છે. તે સમયે ચૂંટણીમાં 25 લાખ મતપેટીનો ઉપયોગ થયો હતો. આ ચૂંટણી દરમિયાન ભારતમાં મત પત્ર માટે 180 ટન પેપરનો ઉપયોગ થયો હતો. આ ચૂંટણી માટે કુલ 10 લાખનો ખર્ચ તે સમયે કરવામાં આવ્યો હતો.
1,874 ઉમેદવાર હતા મેદાનમાં
આ પહેલી ચૂંટણીમાં 53 પાર્ટીના 1,874 ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. આ ચૂંટણી કુલ 489 જેટલી સીટ પર લડાઈ હતી. તે સમયે બીજા નંબરે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીને વોટ મળ્યા હતા. તેને 3.27 ટકા વોટ સાથે દેશમાં 16 સીટ મળી હતી.
જવાહરલાલ નહેરુ પ્રચંડ બહુમત સાથે બન્યા હતા વડાપ્રધાન
તે સમયે ભારતની વસ્તી લગભગ 36 કરોડ હતી પણ તેમાંથી 17.32 કરોડ વસ્તીએ જ મતદાન કર્યુ હતુ. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો. 364 જેટલી સીટ જીતીને જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન બન્યા હતા. ભારતની પહેલી ચૂંટણીથી લઈને ભારતના પહેલા વડાપ્રધાન મળ્યા સુધીનો આ સમય ભારત માટે મહત્વનો હતો.