Sri Lanka: PM મહિન્દા રાજપક્ષેના રાજીનામાની સાથે જ શ્રીલંકામાં હિંસા વધી, શાસક પક્ષના એક સાંસદે કરી આત્મહત્યા !
શ્રીલંકામાં આર્થિક સંકટ (Economic Crisis) વચ્ચે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. PM મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ પ્રદર્શનકારીઓએ તેમના ઘરને પણ આગ ચાંપી દીધી છે.
શ્રીલંકાના શાસક પક્ષના સાંસદ અમરકીર્તિ અતુકોરાલા (Sri Lanka MP Death) સોમવારે સરકાર વિરોધીઓ સાથેની અથડામણ બાદ રાજધાની કોલંબોની બહાર મૃત હાલતમાં મળી આવ્યા હતા. સમાચાર એજન્સી AFPA પોલીસને ટાંકીને આ માહિતી આપી છે. શ્રીલંકામાં આર્થિક સંકટને (Economic Crisis in Sri Lanka)લઈને ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સાંસદના અંગત સુરક્ષા અધિકારીનું પણ મૃત્યુ થયું છે. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પોલોનારુઆ જિલ્લાના સાંસદ અમરકીર્તિ અતુકોરાલાને પશ્ચિમી શહેર નિત્તમ્બુઆમાં સરકાર વિરોધી જૂથ દ્વારા ઘેરવામાં આવ્યા હતા, તે બાદ તેણે આત્મહત્યા કરી લીધી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
લોકોનું કહેવું છે કે ઉશ્કેરાયેલા ટોળાએ સાંસદને કારમાંથી ઉતરતાની સાથે ધેરી લીધા હતા,જે બાદ તેણે છુપાવવા એક બિલ્ડિંગમાં આશરો લીધો હતો. જે બાદ સાંસદે પોતે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે ઈમારત હજારો લોકોથી ઘેરાયેલી હતી અને બાદમાં સાંસદ અને તેમના પીએસઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક સાંસદ સનથ નિશાંતના ઘરને વિરોધીઓએ આગ લગાવી દીધી છે. ત્યારે હાલ ભારતના પડોશી દેશમાં આર્થિક સંકટ વધુ ઘેરુ બન્યુછે.
PM મહિન્દા રાજપક્ષે રાજીનામું આપ્યું
ઘટનાના થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું છે.જો કે આ પહેલા રાજધાની કોલંબોમાં મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ઓફિસની બહાર દેખાવકારો પર હુમલો કર્યા બાદ સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 130 લોકો ઘાયલ થયા છે. સ્થિતિને જોતા સત્તાવાળાઓએ દેશવ્યાપી કર્ફ્યુ લાદી દીધો છે. મહિન્દા રાજપક્ષેએ પોતાનું રાજીનામું ગોટાબાયા રાજપક્ષેને મોકલ્યું હતું. મહિન્દાએ ટ્વીટ કર્યું કે, “મેં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિને મારું રાજીનામું સુપરત કર્યું છે.” જે બાદ સ્થિતિ વધુ વણસી છે.
વચગાળાનું વહીવટીતંત્ર રચવાનું દબાણ વધ્યું
તમને જણાવી દઈએ કે, દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના વહીવટીતંત્રની રચના કરવા મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર પર દબાણ લાવવા માટે આ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. સ્થાનિક મીડિયા દ્વારા પોલીસ પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સમગ્ર શ્રીલંકામાં આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.