હૈતી’ના હજારો શરણાર્થીઓ અમેરિકા માટે બન્યા મુશ્કેલી, નાગરિકોએ પરત ફરવાનો કર્યો ઈનકાર
Haiti Refugees US: શરણાર્થી સંકટનો સામનો કરવા માટે અમેરિકાની યોજના આ તમામ લોકોને પાછા મોકલવાની છે. આ હજારો લોકો હૈતી દેશમાંથી આવ્યા છે અને પરત ફરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે.
વિશ્વભરના ગરીબ અને યુદ્ધગ્રસ્ત દેશોના કારણે શ્રીમંત દેશોને શરણાર્થી સંકટનો સામનો કરવો પડે છે. અમેરિકા (America) અને યુરોપ જેવા દેશોમાં પહોંચવા માટે હજારો શરણાર્થીઓ ગેરકાયદેસર રીતે જોખમી માર્ગોનો ઉપયોગ કરે છે. આ દરમિયાન પોલીસ ઘણાને પકડે છે અને તેમને પાછા મોકલે છે. અત્યારે આવું જ કંઈક અમેરિકામાં જોવા મળી રહ્યું છે.
ટેક્સાસ રાજ્યની સરહદ (Texas Border) પર હજારો શરણાર્થીઓ અહીં ભેગા થયા છે. આ લોકો ગરીબી, ભૂખ અને નિરાશાને કારણે કેરેબિયન દેશ હૈતીથી ભાગીને આવ્યા છે. અમેરિકાની યોજના એ બધાને પાછા મોકલવાની છે, પરંતુ તેઓ કહે છે કે તેઓ અમેરિકાની યોજનાથી ડરશે નહીં.
મેક્સિકોની સરહદ પાર કર્યા બાદ શનિવારે હજારો લોકો ટેક્સાસ બોર્ડર પર ડેલ રિયો શહેરમાં અટવાયેલા રહ્યા. તેઓ પાણી, ખોરાક અને ડાયપર ખરીદવા માટે મેક્સિકો ગયા, પરંતુ પછી પાછા આવ્યા હતા. હૈતીના 32 વર્ષીય જુનિયર જીને જણાવ્યું હતું કે અમે વધુ સારા જીવનની શોધમાં છીએ.
2000 શરણાર્થીઓ પરત ફર્યા
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ શનિવારે જણાવ્યું હતું કે તેણે શુક્રવારે આશરે 2,000 શરણાર્થીઓને અમેરિકાથી પરત મોકલવા માટે અન્ય સ્થળોએ ખસેડ્યા છે. તેમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે સોમવારે સવાર સુધીમાં 400 એજન્ટો અને અધિકારીઓ આ વિસ્તારમાં હાજર રહેશે અને જરૂર પડશે તો વધુ એજન્ટો મોકલવામાં આવશે. ડેલ રિયોમાં હૈતીયન નાગરિકોના અચાનક આગમન બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. એક અમેરિકી અધિકારીએ કહ્યું કે અમેરિકા શરણાર્થીઓને દિવસમાં પાંચથી આઠ ફ્લાઈટમાં દેશની બહાર મોકલશે.
બધા શરણાર્થીઓની કોરોનાની તપાસ કરવામાં આવશે
શરણાર્થીઓને બહાર મોકલવા માટેની ફ્લાઈટ્સ રવિવારથી શરૂ થશે, જ્યારે અન્ય એક અધિકારીએ કહ્યું કે દરેકની કોરોનાની તપાસ કરવામાં આવશે. એક અધિકારીએ કહ્યું કે ફ્લાઈટ્સની સંખ્યા હૈતી કેટલા લોકોને પરત લાવવા માંગે છે તેના પર નિર્ભર રહેશે.
આશરે એક સપ્તાહ પહેલા શરણાર્થીઓની સમસ્યાનો સામનો કરવા માટે ઈંગ્લિશ ચેનલ પાર કરીને પ્રવાસીઓને લાવનાર હોડીઓ પરત મોકલવાનું કહેવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે જો ગૃહમંત્રી પ્રીતિ પટેલ તેમની અંગત મંજૂરી આપે તો આ બોટો પરત મોકલવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જાહેર કરાયુ એલર્ટ
આ પણ વાંચો :કર્મચારીઓના પગારને અસર કરતા લેબરકોડનો અમલ આ વર્ષે થવાની શક્યતા ઓછી, જાણો કયા છે કારણો ?