ભારતથી દુબઈ જતા મુસાફરો માટે હળવા કરાયા નિયમો, 23 જૂનથી નવા નિયંત્રણો થશે લાગુ
corona update : કટોકટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સર્વોચ્ચ સમિતિએ, ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરીયાથી વિમાનમાર્ગે દુબઈ આવતા મુસાફરો અંગે, દુબઈના ટ્રાવેલ પ્રોટોકોલને અપડેટ કરવાની જાહેરાત કરી છે.
દુબઇએ ભારત સહિતના અન્ય ઘણા દેશોમાંથી વિમાનમાર્ગે આવતા મુસાફરો માટે, કોરોનાને લઈને લાદેલ પ્રતિબંધ હળવો કર્યો છે. વિમાન માર્ગે દુબઈમાં ( Dubai) આવતા લોકોએ યુએઈ દ્વારા માન્યતા પ્રાપ્ત રસીના બંને ડોઝ લેવાના રહેશે.
યુએઈ સ્થિત મીડિયા રિપોર્ટ મુજબ, દુબઈમાં કટોકટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સર્વોચ્ચ સમિતિએ, ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરીયાથી વિમાનમાર્ગે દુબઈ આવતા મુસાફરો અંગે, દુબઈના ટ્રાવેલ પ્રોટોકોલને અપડેટ કરવાની જાહેરાત કરી હતી.
ભારતથી દુબઇ જતા આવા મુસાફરોને માત્ર માન્ય વિઝાની જ જરૂર રહેશે. મીડિયા રીપોર્ટ મુજબ, યુએઈની સરકારે, કોરોના અંગે જે ચાર રસીઓને માન્યતા આપી છે તેમાં સિનોફર્મા, ફાઇઝર-બિયોંટેક, સ્પુટનિક-વી અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા સામેલ છે.
દુબઇમાં શેખ મન્સૂર બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની અધ્યક્ષતામાં કટોકટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ચ કમીટીની બેઠક યોજાઈ હતી. આ કમીટીએ 23 મી જૂનથી દક્ષિણ આફ્રિકા, નાઇજિરીયા અને ભારતથી આવનારા મુસાફરો માટે દુબઈના ટ્રાવેલ પ્રોટોકોલોમાં સુધારાની જાહેરાત કરી છે.
દુબઇથી ભારત આવતા મુસાફરોને માત્ર માન્ય વિઝાની જ જરૂર રહેશે. જો કે, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાથી આવેલા ઇમિગ્રન્ટ મુસાફરોને રસીકરણ અને પીસીઆર પરીક્ષણની શરતોને આધિન મુસાફરી કરવાની છૂટ છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસના 48 કલાક પહેલા લેવામાં આવેલી આરટી-પીસીઆર પરીક્ષણમાં પણ કોરોના નેગેટીવ રીપોર્ટ હોવો જોઈશે.
જો કે યુએઈના નાગરિકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફક્ત ક્યૂઆર-કોડેડ નેગેટીવ આરટી-પીસીઆર પરીક્ષણ રીપોર્ટ જ તેમના માટે પૂરતો હશે. આ સિવાય દુબઇ જતાં ચાર કલાક પહેલા ભારતથી મુસાફરોએ ઝડપી પીસીઆર ટેસ્ટ કરાવવો પડે છે. દુબઈ પહોંચ્યા બાદ તેણે બીજીવાર આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.
આ સિવાય દુબઈ પહોંચ્યા બાદ, ભારતથી મુસાફરોએ તેમના આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ના આવે ત્યા સુધી તેમણે ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. મોટાભાગે, દુબઈમાં કરાવેલા આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકની અંદર આપી દેવાશે.