તાલિબાને અફઘાનિસ્તાનના 100 નાગરિકોની કરી હત્યા, સ્પિન બોલ્ડક વિસ્તારમાં કર્યો હુમલો
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી રહ્યો છે. અફઘાન સરકારે કહ્યું છે કે તાલિબાનોએ સ્પિન બોલ્ડક વિસ્તારમાં રહેતા લોકોના ઘરો પર હુમલો કર્યો છે. આ સ્થાન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનના (Afghanistan) 100 અફઘાન નાગરિકોની હત્યા કરી છે. દેશના ગૃહમંત્રાલયે માહિતી આપી છે કે સ્પિન બોલ્ડક વિસ્તારના ઘરો પર તાલિબાનીઓએ હુમલો કર્યો છે. 100 નાગરિકોની હત્યા કરવામાં આવી છે. સ્પિન બોલ્ડક એક સરહદ પર આવેલું શહેર છે, જેની સરહદ પાકિસ્તાનની નજીક છે. તે કંધારનું એક મુખ્ય વ્યૂહાત્મક સ્થાન પૈકી એક છે. હાલમાં જ આ સ્થાન પર તાલિબાનનો કબજો હતો. બોર્ડર ક્રોસિંગ પર તાલિબાનના કબજા પછી અફઘાન સુરક્ષા દળો દ્વારા આ જગ્યા પાછી લેવા માટે લડાઈ ચાલી રહી છે.
આ એજ વિસ્તાર છે, જેના વિશે અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તાજેતરમાં જ ટ્વીટ કરીને પાકિસ્તાન પર તાલિબાનની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે પાકિસ્તાનની વાયુસેનાએ અફઘાન સુરક્ષા દળોને ધમકી આપી છે કે જો તેઓ સ્પિન બોલ્દક વિસ્તારમાંથી તાલિબાનને હટાવવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેમની સામે બદલો લેશે. સાલેહે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની એરફોર્સ આ વિસ્તારમાં તાલિબાનને હવાઈ સપોર્ટ પૂરા પાડે છે.
લાંબા અંતરનું મિસાઈલ પરીક્ષણ
આના થોડા કલાકો પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે તાલિબાન દ્વારા લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની પત્રકાર મોહિબુલ્લા ખાને ટ્વીટ કરીને મિસાઈલ પરીક્ષણનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે તાલિબાન દ્વારા અલ-ફતાહ નામના મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેણે પોતાના ટ્વીટની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘તાલિબાને નવી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલ અલ-ફતાહનો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.’
તાલિબાનોએ હુમલાઓને વધુ તીવ્ર બનાવ્યા
લગભગ બે દિવસ પહેલા તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે દરેક ઈદના અવસરે નમાઝ કરી રહ્યા હતા. બાદમાં તાલિબને ફરીથી આ હુમલાની જવાબદારી લીધી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રોકેટ જમીન પર પટકાયા છે, જેનાથી કોઈને નુકસાન થયું નથી. પરંતુ ચુસ્ત સુરક્ષા ક્ષેત્રમાં આ હુમલો કોઈ મોટી ચિંતાથી ઓછું નથી.
આ પણ વાંચો : Gandhinagar : ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈથી 50 ટકાની કેપેસિટી સાથે શરૂ થશે, વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત