શેખ હસીનાને તિસ્તા નદી પર સમજૂતીની આશા, કહ્યું PM Modi તમામ મુદ્દાઓ ઉકેલશે
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina) હાલ ભારતના પ્રવાસે આવ્યા છે. તેમણે આજે ભારતના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને અનેક મુદ્દા પર ચર્ચા કરી છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina) હાલ ભારતના પ્રવાસે આવ્યા છે. તેમણે આજે ભારતના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને અનેક મુદ્દા પર ચર્ચા કરી છે. તેમણે તીસ્તા નદીના (Teesta river) જળ વિભાજનને લઈને ઝડપી સમાધાન કરવા માટે પોતાની આક્રમક રજૂઆત કરી હતી. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કુશિયારા નદી માટે એક વચાગાળાના જળ વિભાજન સમજી પર પણ હસ્તાક્ષર થયા. જેનાથી દક્ષિણી અસમ અને બાંગ્લાદેશના સિલહટ ક્ષેત્રના લોકોને લાભ અને રાહત મળશે. વર્ષ 1996માં ગંગા જળ સંધિ પર હસ્તાક્ષર થયા બાદ, આ બન્ને દેશો વચ્ચે આ પ્રથમ સમજૂતી હતી. આ મુલાકાતમાં શેખ હસીનાએ તીસ્તા જળ વિભાજન સમજૂતીમાં થઈ રહેલા વિલંબને લઈને પોતાની ચિંતા વ્યક્તિ કરી હતી.
આ તીસ્તા જળ વિભાજન સંધિ 2011ના વર્ષથી અટકેલી છે. તે સમયે પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો હતો. હસીનાએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, મને યાદ છે કે બંને દેશોએ મિત્રતા અને સહયોગની ભાવનાથી ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે. અમે આશા રાખીએ છીએ કે તિસ્તા જળ વિભાજન સંધિ સહિત તમામ પડતર મુદ્દાઓ જલ્દી ઉકેલાઈ જશે. જ્યાં સુધી વડાપ્રધાન મોદી અહીં રહે ત્યાં સુધી ભારત અને બાંગ્લાદેશ આ તમામ મુદ્દાઓ ઉકેલશે. વડાપ્રધાન મોદી સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મંગળવારે શેખ હસીના સાથે મુલાકાત કરી હતી, કોંગ્રેસે કહ્યું કે, બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર સારી ચર્ચા કરી. આ બેઠક ચાણક્યપુરી સ્થિત હોટલ આઈટીસી મૌર્યમાં થઈ હતી.
કુશિયારા નદીના જળ વિભાજનની સંધિ
શેખ હસીના સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ પત્રકારોને કહ્યું, આજે અમે કુશિયારા નદીના જળ વિભાજન માટે એક મહત્વપૂર્ણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી ભારત અને બાંગ્લાદેશના રાજ્યોને લાભ થશે. 54 નદીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી પસાર થાય છે અને સદીઓથી બંને દેશોના લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે. મોદીએ કહ્યું કે, આ નદીઓ, તેમના વિશેની લોકકથાઓ, લોકગીતો પણ આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે.
4 દિવસના ભારત પ્રવાસ પર છે શેખ હસીના
બાંગ્લાદેશની મહિલા વડાપ્રધાન શેખ હસીના 4 દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. શેખ હસીનાએ કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાનો વિકાસ કરવો લોકોની પાયાની જરુરિયાતો પૂરી કરવાનો છે. મિત્રતા દ્વારા તમે કોઈ પણ સમસ્યાનું સમાધાન નીકાળી શકાય છે. હસીનાએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આગળ પણ તેમની અનેક લોકો સાથે મુલાકાત અને કાર્યક્રમો નક્કી થયા છે.